Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

દહેજના ત્રાસથી ગોંડલની વિપ્ર પરિણીતાએ આપઘાત કર્યા'તોઃ પતિ-સાસરીયા સામે ગુન્હો

રાજકોટ તા.૧૭ ગોંડલની બ્રાહ્મણ પરણિતાને દહેજ અંગે ત્રાસ આપી આપઘાત માટે મજબુર કરનાર પતિ અને સાસરીયા સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ભવનાથ-૨માં રહેતી બ્રાહ્મણ પરણિતા અંકિતા અમીતકુમાર મિશ્રાએ પોતાની ઘરે ગત ૧૪ જાન્યુઆરીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક પરણિતાના માતા અનીતાબેન અશોકકુમાર શુકલા રે, નડીયાદએ મૃતક પરણિતાના પતિ અમીતકુમાર દિપક મિશ્રા, સસરા દિપક મિશ્રા, સાસુ ભાવનાબેન, તથા નણંદ શ્વેતાબેન રે.ભવનાથ ગોંડલ સામે ગોંડલ સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાણા જણાવ્યા મુજબ ફરીયાદીની પુત્રી અંકિતાને તેનો પતિ અમીત છુટાછેડાની ધમકી આપી દહેજ માંગતો હતો અને સાસુ,સસરા તથા નણંદ અમીતને ચડામણી કરી અંકિતા પર ત્રાસ ગુજારતા આપઘાત કરવા માટે મજબુર કરી હતી. આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે પણ સાસરીયા સામે આઇ.પી.સી. ૩૦૬,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)