Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

માળીયામિંયાણાના ખીરઇ પાસે અકસ્માતમાં બે શ્રમિકના મોત

કન્ટેનર ચાલાકે હડફેટે લેતા બે રાહદારી શ્રમિક મહમદ આલમ અને ઇકતીખાલ આલમનું મોત

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ બંન્ને શ્રમિકના મૃતદેહ અને કન્ટેનર નજરે પડે છે. (તસ્વીર : રજાક બુખારી-માળીયામિંયાણા)

 મોરબી, તા. ૧૭ : માળિયા મિંયાણા હાઇવે પરથી પસાર થતા કન્ટેનર ચાલકે રાહદારી બે શ્રમિકોને ઠોકરે ચડાવતા બંને શ્રમિકોના કરૂણ મોત થયા છે.

અકસ્માતની મળતી માહિતી મુજબ માળીયાના ખીરઇ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ બિહારના રહેવાસી મહમદ આલમ અને ઇકતીખાલ આલમ નામના બે શ્રમિકો રોડ પરથી પસાર થતાં હોય ત્યારે ખીરઇ ગામ નજીકથી પસાર થતા કન્ટેનરે બંને શ્રમિકને ઠોકરે ચડાવ્યા હતાં જેને પગલે ૧૦૮ ટીમ અને પોલીસ ટીમ દોડી ગઇ હતી જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે બંને શ્રમિકોના કરૂણ મોત થયા હતાં જેને પગલે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ ચલાવી છે.

અકસ્માતના પગલે હાઇ-વે પર ટ્રાફીક જામ સર્જાયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અકસ્માત સર્જી ટ્રેલર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર ડીવાઇડર પર ચડી થયું હતું.

અકસ્માતમાં બે શ્રમિકના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. (૮.૮)

 

(11:02 am IST)