Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ધંધુકાના ગલસાણાની સીમમાં થયેલ હત્યાના આરોપીની શોધખોળ

સુરેન્દ્રનગર, તા.૧૭: ધંધુકા તાલુકાના ગલસાણા ગામની સીમમાં આવેલ વાડીમાં રહેતા લક્ષ્મણભાઈ ભીખાભાઈ મેવાડા (ઉ.વ. પપ) ની લૂંટના ઈરાદે હત્યાનો બનાવ બનવા પામ્યો છે.

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના આશરે ત્રણ વાગ્યાના સુમારે ગલસાણા ગામની સીમમાં આવેલ વાડીએ અજાણ્યા કોઈ પાંચ ઈસમો (યુવકો) ધારીયા જેવા તિક્ષણ હથિયાર તથા લાકડાના દંડા લઈને ધસી આવેલ. જેઓએ સોનલબેન લક્ષ્મણભાઈ મેવાડાના કાનમાં પહેરેલ સોનાના દાગીના લૂંટી લીધેલ. જેમને માથા અને શરીના ભાગે માર મારેલ. જયારે લક્ષ્મણભાઈ મેવાડાને પણ માથાના ભાગે તથા શરીરના ભાગે માર મારી ગંભીર ઈજા કરી મૃત્યુ નિપજાવેલ. તેમની પાસેથી હાથમાં પહેરેલ ચાંદીનું સરણ લૂંટી કુલ ૪૭પ૦૦ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી પાંચેય આરોપી નાસી છુટ્યા હતા.

આ ઘટના સંદર્ભે ગલસાણાના સરપંચ દ્વારા ધંધુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા ધંધુકા પીઆઈ વી.એલ. કોલચા તથા પોલીસ સ્ટાફ ગલસાણા ગામે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મરનાર આધેડ વયના શખ્સના મૃતદેહનો કબ્જો લઈ ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ ડોકટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. એફએસએલ ટીમને જાણ કરાતા એફએસએલના અધિકારીઓ ગલસાણા ગામના ઘટનાસ્થળે જઈ નમુના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે ગુન્હા સંદર્ભે મરનારના પત્ની સોનાબહેને મેવાડાએ ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધંધુકા પોલીસે ગુન્હો નોંધી અજાણ્યા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(3:52 pm IST)