Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ગોંડલમાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયોઃ રાજુ મરાઠીની ધરપકડ

મકરસંક્રાંતિની રાત્રે ઠંડીમાં ગોદડાની તકરારમાં આધેડને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરાઇ'તી

રાજકોટ તા.૧૭: ગોંડલ શહેરના સેન્ટ્રલ ટોકિઝ પાસે મહાવીર શોપિંગ સેન્ટર ના ત્રીજામાળે હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ આધેડની લાશનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા ઉકેલી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મળતી વિગત મુજબ શહેરના મહાવીર શોપિંગ સેન્ટરના ત્રીજા માળે મંગળવાર રાત્રિના અજાણ્યા આધેડની હત્યા કરાયેલ લાશ મળી આવતા શહેર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ડી-સ્ટાફના નરેન્દ્રસિંહ જાડેજા તેમજ પરાક્રમસિંહ ઝાલાની બાતમીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપી શખ્સની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

હત્યાની ઘટના અંગે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિની રાત્રે રાજુ મરાઠી અને રાણાવાવ અમરદળના ગામના ચીમન સાજણ ભાઇ ડોડીયા મહાવીર શોપિંગ સેન્ટરના ત્રીજા માળે સુવા ગયા હતા જયાં બંને વચ્ચે ગોદડા માટે ઝગડો થતા ઉશ્કેરાયેલ રાજુ મરાઠીએ પથ્થરના ઘા ચીમનના માથા પર મારતા તેનું મોત નિપજયું હતું અને હત્યા નિપજાવ્યા બાદ રાજુ મરાઠી નાસી છુટયો હતો. બાદમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપી રાજુ મરાઠીને સેન્ટ્રલ ટોકિઝ ચોકમાંથી જ દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી હતી, ઉપરોકત બંને શખ્સો રખડતું ભટકતું જીવન જીવતા હોવાનું પોલીસસુત્રોએ અંતમાં જણાવ્યું હતું.

(3:44 pm IST)