Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ભાવનગરમાં રંઘોળામાં યુવકની હત્‍યાઃ સંજય કુવાડીયા ગંભીર

આઠ શખ્‍સોએ છરી, લાકડી, ધોકા સાથે હુમલો કરતા ખળભળાટઃ આરોપીઓની શોધખોળઃ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, ૧૬: ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે ગત મોડી રાત્રે આઠ જેટલા શખ્‍સોએ બે યુવાનો પર છરી, લાકડી, ધોકા વિગેરે હથીયાર ધારણ કરી હુમલો કર્યો હતો. આ બનાવમાં બે પૈકી એક યુવાનનું મૃત્‍યુ થયું છે. જયારે અન્‍ય યુવાનની સ્‍થિતિ ગંભીર જણાવાઇ રહી છે. હત્‍યાના આ બનાવથી રંઘોળા પંથકમાં તંગદીલી ફેલાઇ ગઇ છે અને પોલીસે બંદોબસ્‍ત ગોઠવી દઇ સ્‍થિતિને કાબુમાં રાખવા પ્રયાસ હાથ ધર્યો છે.
આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકથી ઉપલબ્‍ધ વિગતો મુજબ રંઘોળા ગામે રહેતા સંજય ભીખાભાઇ કવાડીયાએ આજ ગામે રહેતા અનિલ બોધાભાઇ સાટીયા, અશ્વીન બોધાભાઇ સાટીયા, રવી સાર્દુળભાઇ સાટીયા, વિશાલ તોગાભાઇ, રાજુ હામાભાઇ ભોકળવા, ગોપાલ હામાભાઇ ભોકળવા, હામાભાઇ જોધાભઇ ભોકળવા અને બોધાભાઇ મળી આઠ શખ્‍સો સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે તા.૧૪ મીની રાત્રે લગભગ ૧૧:૩૦ કલાકે ફરીયાદી તથા વિપુલભાઇ સુરેશભાઇ પર ઉકત શખ્‍સોએ જુના ઝઘડાની દાઝ રાખી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વિપુલભાઇને માથાના ભાગે, હોઠ પર, છાતી તથા પીઠ વિગેરે શરીરનાં ભાગો પર છરીના ચારથી પાંચ ઘા અશ્વીન બોધાભાઇએ ઝિંકી દીધા હતા. જયારે અન્‍ય આરોપીઓએ તેમાં મદદગારી કરી તેમજ અન્‍ય હથીયારો વડે હુમલો કરી પોતાને તથા વિપુલભાઇને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં વિપુલભાઇનું મોત નિપજયું હતુ઼.
જયારે ફરીયાદી ગંભીર રીતે ઇજા થયેલા સંજય ભીખાભાઇ કુવાડીયાને પ્રથમ સિંહોર અને ત્‍યાર બાદ વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર સર ટી હોસ્‍પીટલ ખસેડવામાં આવેલ છે. બનાવમાં પોલીસે ૩૦ર, ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬ (ર) વિગેરે કલમો તળે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જયારે બનાવના પગલે તંગદીલી વ્‍યાપી જતા રંઘોળા ગામે પોલીસનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળ્‍યું છે.

 

(11:01 am IST)