Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

દેશની એકતા માટે યથાશકિત યોગદાનનો સંકલ્પ એ જ સરદારને સાચી શ્રધ્ધાંજલિ

જામનગરમાં બીજા ચરણની એકતાયાત્રાનો પ્રારંભ કરાવતા ફળદુ

જામનગર તા. ૧૬ : ગુજરાતના પનોતા પુત્ર અને દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલને આદરાંજલિ આપવા સાધુ બેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે. આ પ્રતિમામાના ઉદ્દધાટનની ઉજવણી નિમિતે રાજયભરમાં યોજાનાર એકતા યાત્રાના બીજા તબક્કાનો શુભારંભ કાર્યક્રમ આજરોજ શહેરના ટાઉનહોલમાં યોજાયો હતો.

દેશની એકતા અને અખંડિતતા માટે યથા શકિત યોગદાન આપવાનો સંકલ્પ કરીએ તે જ સરદાર સાહેબને સાચી શ્રધ્ધાંજલી  તેમ જણાવતા કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ કહ્યું કે, સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું તેનું સ્મરણ વંદન કરતા સરદાર વલ્લભભાઇ પટેલની કૂનેહ-મકકમ મનોબળ અને સમજાવટથી બધા રજવાડાઓ ભારતમાં વિલીન થયા અને એક અખંડ ભારતનું નિર્માણ થયું. 

એકતાનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે વર્ષો પહેલા જે કામ થવું જોઇતું હતું તે કામ આપણા વડાપ્રધાને ઉપાડીને પાર પાડયું છે તે માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યકત કરતા તેમણે જણાવેલ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી ખુબ  જ મોટા પ્રમાણમાં પ્રવાસીઓએ તેમની મુલાકાત લીધેલ છે.

અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરૂષ, પ્રખર રાષ્ટ્રભકત, ભારત રત્ન અને પ્રજા વત્સલ સરદાર વલ્લભભાઇ પટેલનું દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને દેશની એકતા-અખંડિતતામાં અમુલ્ય યોગદાન રહ્યું છે. સરદાર સાહેબના જીવન કવન, વિરલ વ્યકિતત્વ, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગોથી જન-જન સુધી પહોંચે તેવા આશયથી આજરોજ શહેરના ટાઉનહોલ ખાતેથી  એકતા યાત્રા રથનું પ્રસ્થાન કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, ગુજરાત ગ્રામ ગૃહ ઉદ્યોગ નિર્માણ બોર્ડના અધ્યક્ષશ્રી મુળુભાઇ બેરા, ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર લી.ના અધ્યક્ષશ્રી મેઘજીભાઇ કણઝારીયા, મેયરશ્રી હસમુખભાઇ જેઠવાના હસ્તે ફલેગ ઓફ કરીને કરવામાં આવેલ હતું.

આ એકતારથ ૧૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે જયારે આજે ગઇકાલે વિભાપર રોડ ગુલાબનગર ખાતે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તા. ૧૬ના રોજ સાંજે  ટાઉન હોલ ખાતે સરદાર વલ્લાભભાઇ પટેલની કથા યોજાશે

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિન્ડોચા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, દંડક જડીબેન, ભાજપ મહામંત્રી ધર્મરાજસિંહ,  જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારિક, જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર રણજીતસિંહ બારડ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંધલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, જિલ્લાના અધિકારીશ્રીઓ, પદાધીકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

(1:52 pm IST)