Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

અમરેલી જિલ્લામાં બીજા અરણની એકતાયાત્રાનો મંડવીયના હસ્તે પ્રારંભ

અમરેલી, તા.૧૬: રાજય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે.

જેમાં રોડ ટ્રાન્સપોર્ટ કેન્દ્રીય રાજયમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા લાઠી તાલુકાના આસોદર અને ઇંગોરાળા ગામે એકતા યાત્રામાં જોડાયા હતા. મંત્રીશ્રીએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. તેમણે સરદાર પટેલ વિશે જણાવાતા કહ્યું કે, આઝાદી વખતે ૫૬૨ રજવાડાંઓનું વિલિનીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર વિરલ વ્યકિતત્વ એટલે સરદાર પટેલ. તેમણે સરદાર પટેલની કૂનેહ અને નેતૃત્વના પ્રેરક પ્રસંગો જણાવી સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસિયતો જણાવી હતી.

એકતા રથ ગામ ખાતે પહોંચતા ગ્રામજનોએ પારંપારિક રીતે સ્વાગત કર્યુ હતુ. અગ્રણીશ્રીઓ અને ગ્રામજનોએ એક ભારત નેક ભારત અને જય સરદારના નારા લગાવ્યા હતા.

કાર્યક્રમમાં પૂર્વમંત્રી સર્વશ્રી વી.વી. વદ્યાસીયા, શ્રી નાનુભાઇ વાનાણી, બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અધ્યક્ષશ્રી બી.એચ. દ્યોડાસરા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ડોબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઇ હિરપરા, શ્રી મયુરભાઇ હિરપરા,  કૌશિકભાઇ વેકરીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નાટકનું આયોજન

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રા કાર્યક્રમનું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નાટક યોજવામાં આવનાર છે.  સાંજે ૫ વાગ્યે પ્રાથમિક શાળા ખાતે સાર્થક આર્ટ ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા નાટક યોજાશે.

તા.૧૬મીએ રાજુલા તાલુકાના ડોળીયા,  તા.૧૭મીએ ખાંભા તાલુકાના રૂગનાથપુર, તા.૧૮મીએ બગસરાના જુના ઝાંઝરીયા, તા.૧૯મીના રોજ અમરેલી તાલુકાના વરસડા અને તા.૨૦મીએ બાબરા તાલુકાના કરીયાણા ખાતે નાટક યોજાશે, તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની  યાદીમાં જણાવેલ છે.

(1:50 pm IST)