Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

કમરકોટડાના યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર પીધાની ઘટના : પાંચ સામે ગુન્હો

નિતીન પટેલ ભાનમાં આવી જતા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી

ગોંડલ તા. ૧૬ : ગોંડલ તાલુકાના કમર કોટડા ગામે ચાર દિવસ પહેલા પટેલ યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી આજે તે ભાનમાં આવી જતા પોલીસે તેની ફરિયાદ પરથી પાંચ શખ્સો વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કમર કોટડા ગામે રહેતા અને ખેતીકામ કરતા નીતિનભાઈ કાળુભાઈ પાનેલીયા પટેલ ઉંમર વર્ષ ૪૪ ચાર દિવસ પહેલાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા બાદમાં આજરોજ ભાનમાં આવતા પોલીસે તેમની ફરિયાદ પરથી પાંચ શખ્સો વિરુદ્ઘ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં નીતિનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાપર વેરાવળ રહેતા કરણ ભરવાડ, કમર કોટડા રહેતા જીગ્નેશ જેન્તીભાઈ વ્યાસ, ભીખુ ભરવાડ શિવરાજગઢ અલ્પેશ ભરવાડ માંડણકુંડલા તેમજ મહેશ ગમારા વેકરી વાળા પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધા હતા આ લોકો ૧૫ ટકાથી પણ વધુ વ્યાજ વસૂલ કરેલ હોય ઘણી ખરી રકમ ચૂકવી દીધા હોવા છતાં પણ પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા હોય જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય તેથી તેઓ દ્વારા ઝેરી દવા પી આત્મહત્યા કરવાની કોશિશ કરવામાં આવ્યું હોવાનું જણાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ઘ મનીલેન્ડ એકટ તેમજ આઈ પી સી કલમ ૩૮૭ ૫૦૪ ૫૦૬ તેમજ ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ એન વી હરયાની હાથ ધરી છે.(૨૧.૧૫)

(11:53 am IST)