Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા ૧૧મો વિજયાદશમી મહોત્સવ-વિદ્યાર્થી સન્માન સમારોહ તા. ૧૮ને દશેરાએ

શસ્ત્રપૂજન રેલીમાં ભવ્ય રાજપૂતી પરંપરા ઉભરી આવશેઃ પરંપરાગત પાઘડી-સાફા, રાજપૂતી પોષાક અને ઘોડેશ્વારો સાથેનો ભપકો જોવા મળશે

વાંકાનેર, તા. ૧૬ :. વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા આગામી તા. ૧૮મીને દશેરાના રોજ ૧૧મો વિજયાદશમી મહોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો છે. રાજપૂત સમાજના પ્રમુખ વજુભા સજુભા ઝાલાની યાદીમાં જણાવાયુ છે કે, છેલ્લા ૧૧ વર્ષથી શોભાયાત્રા, શસ્ત્રપૂજન અને વિદ્યાર્થી સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવે છે. દર વર્ષની માફક આ વર્ષે તા. ૧૮મીના ગરાસીયા બોર્ડીંગ, વાંકાનેર હાઈવેથી બપોરે ૧.૩૦ વાગ્યાથી શસ્ત્રપૂજન રેલીની શરૂઆત થશે અને કલબ ગ્રાઉન્ડ પેડકમાં પૂર્ણ થશે. રેલી દરમિયાન દરેક રાજપૂત ભાઈઓને રાજપૂતી પોષાક અને પરંપરાગત પાઘડી-સાફો ફરજીયાત પહેરવાનો રહેશે. જે રાજપૂત ભાઈઓ પાસે અશ્વો હોય તેમણે પોતાના અશ્વોને શણગારી અશ્વાર થઈ રેલી સાથે જોડાવુ. રેલીમાં શિસ્તબદ્ધ પસાર થવાનું છે. સમાજના મહિલાઓ માટે મંડપમાં અલગ બેઠક વ્યવસ્થા છે. મહિલાઓએ સાંજે ૫ વાગ્યા સુધીમા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

વિજયાદશમીના આ કાર્યક્રમમાં યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા-વાંકાનેર સ્ટેટ પ્રમુખ સ્થાને રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે સંત શ્રી પાલુભગત (કાળીપાટ), જી.પી. ઝાલા (નાયબ ઉદ્યોગ કમિશ્નર-મોરબી), જગદીશસિંહ ગોહિલ (ડે. ડી.ડી.ઓ.-જિલ્લા પંચાયત મોરબી), ડો. યોગરાજસિંહ જાડેજા (જાબીડા), ડો. દિગ્વીજયસિંહ જાડેજા (ગોકુલ હોસ્પીટલ-રાજકોટ) રહેશે. દશેરાના દિવસે વાંકાનેર શહેર અને તાલુકામાં વસતા દરેક રાજપુતોનેે સહપરિવાર ઉપસ્થિત રહી ગ્રાઉન્ડ પર યોજાયેલ સમૂહ ભોજનનો પ્રસાદ લેવા વજુભા ઝાલા તરફથી આમંત્રણ પાઠવાયુ છે. આ વર્ષે તા. ૧૪ થી ૧૬ ત્રિદિવસીય નવરાત્રી મહોત્સવ ક્રિકેટ ગ્રાઉન્ડ વાંકાનેર ખાતે રંગેચંગે યોજાયો હતો.(૨-૭)

(11:53 am IST)