Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પ્રેમી પંખીડાઓનો સજોડે આપઘાતઃ દસાડાના ખેતરમાં મહેસાણાના કૌટુંબિક ફુઆ-ભત્રીજીએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્‍યું

૧૨ તારીખે મોરબી જવાનું કહીને નીકળ્‍યા હતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૬: દસાડાના ખેતરમાં મહેસાણાના કૌટુંબિક ફુઆ-ભત્રીજીનો સજોડે આપઘાતથી ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મહેસાણા જિલ્લાના ૩૧ વર્ષના દિવાનજી પથુજી ઠાકોરને મહેસાણા જિલ્લાના લીંચ ગામે રહેતી પોતાની કૌટુંબિક ભત્રીજી નિકીતાબેન ભરતભાઇ ઠાકોર સાથે આંખો મળી ગઇ હતી. અને દિવાનજી પથુજી ઠાકોર મોરબી કારખાનામાં કામ કરતા હોઇ પોતાની કૌટુંબિક ભત્રીજી નિકીતા ઠાકોરને મહેસાણા જિલ્લામાંથી ૧૨ ઓગષ્ટના રોજ મોરબી જવાનું કહી નીકળ્‍યા હતા. અને ૧૩ ઓગષ્ટના રોજ રસ્‍તામાં દસાડા ગામે બામણયાકી તલાવડી પાછળ એરંડાના ખેતરમાં જારૂના ઝાડ પર વરસતા વરસાદમાં ગળે ફાંસો ખાઇ મોતને વહાલુ કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે ખેતરમાં કામ કરતા મજૂરે આ બંને પ્રેમી પંખીડાને ખેતરમાં ઝાડ પર ગળે ફાંસો ખાઇ લટકેલી હાલતમાં જોતા એણે તાકીદે આ ગોઝારી ઘટના અંગે દસાડા પોલિસ મથકે જાણ કરી હતી. આથી દસાડા પીએસઆઇ એચ.એલ.ઠાકર, નિલેશભાઇ રથવી અને મનીષભાઇ અઘારા સહિતનો સ્‍ટાફ તાકીદે ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. અને બંને મૃતકોની લાશને પોસ્‍ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્‍પિટલે મોકલી આપી હતી.

ઘટનાસ્‍થળેથી મળી આવેલા થેલામાંથી બંનેના આધાર કાર્ડના આધારે બંનેના પરિવારજનોને મહેસાણા જિલ્લામાં જાણ કરતા એમના પરિવારજનો તાકીદે પાટડી સરકારી દવાખાને દોડી આવ્‍યા હતા. ત્‍યારે મૃતક બંને પ્રેમી પંખીડાઓ કૌટુંબિક ફુઆ-ભત્રીજી હોવાનું જાણવા મળ્‍યું હતુ. હાલમાં દસાડા પોલિસ દ્વારા આ બંને મૃતક પ્રેમી પંખીડાઓના પરિવારજનોના નિવેદન લઇ અકસ્‍માતે મોત અંગેનો ગુન્‍હો દાખલ કરી પોસ્‍ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલિસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.

(12:00 pm IST)