Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દેવગામ લોધીકાની ક્રિષ્‍ના પટેલને રાજકોટમાં પતિ-સાસરિયાનો ત્રાસઃ જેઠે અડપલા કર્યા

લગ્ન બાદ ૧૫ દિ' સરખી રીતે રાખી પછી ‘તું વહેલી ઉઠતી નથી, અમારે જ કામ કરવું પડે છે, તું ઘરમાંથી પૈસા લઇ લે છે' કહી ત્રાસ ગુજારાયોનો આરોપ : ચારિત્ર્ય પર શંકા કરી પતિ દારૂ પી મારકુટ કરતો

 

રાજકોટ તા. ૧૬: હાલ લોધીકાના દેવગામમાં માતા-પિતાના ઘરે રહેતી ક્રિષ્‍નાબેન મયુર સેલડીયા (ઉ.૩૦) નામની પટેલ પરિણીતાને રાજકોટ દેવપરા પાસે શિયાણી સોસાયટી ભવાની ચોકમાં રહેતાં પતિ-સાસરિયાએ ચારિત્ર્ય પર શંકા કરી મારકુટ કરી તેમજ જેઠે અડપલા કરી દુઃખ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ થઇ છે.

મહિલા પોલીસ સ્‍ટેશનમાં ક્રિષ્‍નાબેનની ફરિયાદ પરથી તેના પતિ મયુર સેલડીયા, સાસુ મંજુલાબેન, સસરા પરષોત્તમભાઇ પોપટભાઇ સેલડીયા, જેઠ હર્ષદભાઇ, બીજા જેઠ વિજયભાઇ, જેઠાણી પુજાબેન હર્ષદભાઇ અને વર્ષાબેન વિજયભાઇ સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૫૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, દહેજધારાની કલમ ૩-૫ મુજબ ગુનો નોંધાયો છે. ક્રિષ્‍નાબેને ફરિયાદમાં આરોપ મુક્‍યો છે કે તેના લગ્ન સાત વર્ષ પહેલા મયુર સાથે થયા છે. સંતાનમાં પુત્ર હિમોલ (ઉ.૬) છે. પોતે અઢી માસથી માવતરને ત્‍યાં રહે છે. ચાર વર્ષ સંયુક્‍ત કુટુંબમાં રહ્યા હતાં. બાદમાં પતિ સાથે અલગ રહેતી હતી. જેઠ-જેઠાણી સહિતના બાજુમાં જ રહેતાં હતાં.

લગ્નના પંદર દિવસ સુધી પોતાને સરખી રીતે રાખવામાં આવી હતી. એ પછી પતિ-સાસરિયાએ તું વહેલી ઉઠતી નથી, બધુ કામ અમારે કરવું પડે છે, તું ઘરમાંથી પૈસા લઇ લે છે' તેવા મેણા માર્યા હતાં. જેઠાણીએ તું રખડયા કરે છે તેવું કહ્યું હતું અને પતિએ દારૂ પી બધાની ચઢામણીથી મારકુટ શરૂ કરી હતી. પોતે કોઇ સાથે વાત કરે તો ચારિત્ર્ય પર શંકા કરવામાં આવતી હતી. પતિને ચઢામણી કરી પોતાને ત્રણ વખત કાઢી મુકાઇ હતી. મોટા જેઠ હર્ષદે ઘરમાં પોતે એકલી હતી ત્‍યારે બિભત્‍સ માંગણી કરી અડપલા કર્યા હતાં. તેમજ તારે ભાઇ નથી તો તારા પપ્‍પાને કહે જમીન વેંચીને ભાગ આપે તેમ કહી ત્રાસ ગુજાર્યો હોવાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. પી.આઇ. પી. બી. શાપરાની રાહબરીમાં હેડકોન્‍સ. ગીતાબેન પંડયાએ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)