Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાંકાનેરમાં લૂંટારાએ ગળા પર છરી ઝીંકીઃ ૮૦ વર્ષના જસુબા જાડેજાએ સામનો કરતાં ભાગ્યો

વિધવા પુત્રવધૂ બાથરૂમમાં હતાં ત્યારે લૂંટારો ઘરમાં ઘુસી ગયોઃ વૃધ્ધાને રાજકોટ ખસેડાયાઃ બે શકમંદની પુછપરછ

રાજકોટ તા. ૧૬: વાંકાનેરમાં મંગળવારે ભરબપોરે એક લૂંટારો છરી સાથે ગરાસીયા વૃધ્ધાના ઘરમાં ઘુસી જતાં અને લૂંટના ઇરાદે તેમના ગળા પર છરી ઝીંકી દેતાં દેકારો મચી ગયો હતો. જો કે આ વૃધ્ધાએ ગઝબની હિમત દાખવી લૂંટારાનો સામનો કરતાં તેને ભાગવું ભારે થઇ પડ્યું હતું. ઘાયલ થયેલા વૃધ્ધાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વાંકાનેર પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી એકાદ બે શકમંદની પુછતાછ શરૂ કરી છે. ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની આશા છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વાંકાનેરના પ્રતાપ ચોક બ્રાહ્મણ શેરીમાં જસુબા નવલસિંહ જાડેજા (ઉ.૮૦) વર્ષના ક્ષત્રિય વૃધ્ધા તેમના વિધવા પુત્રવધૂ રશ્મીબા પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે રહે છે. સાસુ-વહુ એકલા જ અહિ રહે છે. મંગળવારે બપોરે દોઢેક વાગ્યે રશ્મીબા બાથરૂમમાં હતાં ત્યારે એક શખ્સ છરી સાથે ઘરમાં ઘુસી આવ્યો હતો અને જસુબાને છરી બતાવી જે હોય તે આપી દેવા કહેતાં તેમણે સામનો કરતાં આ શખ્સે ગળા પર છરીનો ઘા ઝીંકી દીધો હતો.

વૃધ્ધા જસુબાએ બુમાબૂમ કરતાં એ શખ્સે બીજો ઘા કરતાં જસુબાએ જબરદસ્ત હિમ્મત દાખવી હતી અને તેની છરી પકડી લેતાં એ શખ્સ ગભરાઇ ગયો હતો અને પકડાઇ જવાની બીકે ભાગી ગયો હતો. દેકારો થતાં પુત્રવધૂ બાથરૂમમાંથી દોડી આવ્યા હતાં. પરંતુ એ પહેલા લૂંટારો ભાગી ગયો હતો. જસુબાને ગળા પર છરીનો ઘા ઝીંકાયો હોઇ લોહીલુહાણ થઇ જતાં વાંકાનેર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

વાંકાનેરના પી.આઇ. બી.ટી. વાઢીયા, પીએસઆઇ એમ. જે. ધાધલ સહિતની ટીમે રાજકોટ આવી જસુબા જાડેજાની ફરિયાદ પરથી હુમલો કરી લૂંટનો પ્રયાસ કરવા સબબ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક શકમંદ વિશેષ પ્રાથમિક માહિતી મળતાં પોલીસે પુછતાછ શરૂ કરી છે. ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની શકયતા છે.

 

(10:47 am IST)