Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ભવનાથના જંગલમાં ગોંડલના ઉમરાળીના વૃધ્ધનો ઝાડ સાથે લટકીને આપઘાત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬ : ભવનાથના જંગલમાં ગોંડલના ઉમરાળીના વૃધ્ધે ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

ભવનાથમાં લાલઢોરી જવાના રસ્તે રેવન્યુ જંગલ વિસ્તારમાં આંબાના ઝાડ પર માનવ લાશ લટકી હોવાની જાણ થતા ભવનાથ પોલીસ દોડી ગઇ હતી.

પ્રાથમિક તપાસમાં અજાણ્યા વૃધ્ધનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

આ અંગે તપાસ કરતા મરનાર ગોંડલ તાલુકાના ઉમરાળી ગામના વતની ઘુસાભાઇ તેજાભાઇ વિરડીયા (ઉવ.૬૧) નામના વૃધ્ધ હોવાનું ખુલ્યુ હતું.

પોલીસે મૃતકમાં પરિવારજનોને જાણ કરીને બોલાવતા તેમણે ઘુસાભાઇને ઓળખી બતાવ્યા હતા.

મરનાર ત્રણેક દિવસથી ઘરેથી નીકળી ગયા હતા. અને તેમણે દોરડા વડે લટકીને મોતને મીઠુ કરી લીધુ હતું. આપઘાત પાછળનું કારણ બહાર આવ્યુ નથી. ભવનાથ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

હદપારી શખ્સની ધરપકડ

સક્કરબાગનાં પાર્કીંગમાંથી એસઓજીના જમાદાર અનિરૂધ્ધ વગેરેએ રાત્રે હદપારી અજીત ઉર્ફે મંગી આમદભાઇ નારેજાને પકડી પાડ્યો હતા.

આ ઇમસને ગુનાહિત પ્રવૃતિ સબબ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ માસ માટે હદપાર કરવામાં આવેલ. તેમ છતાં રાત્રે જૂનાગઢમાંથી મળી આવતા તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:25 pm IST)