Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સુરત , અમદાવાદ તથા મુંબઈથી આવતા મુસાફરોના પ્રવેશ અંગે જાહેરનામુ બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા

મુસાફરોને ભાવનગરની અધેળાઇ તથા વલ્લભીપુરની કેરીયા ઢાળ ચેકપોસ્ટ સિવાયના અન્ય કોઈ સ્થળેથી પ્રવેશવા પર પ્રતિબંધ:સુરત, અમદાવાદ તથા મુંબઈથી આવતા તમામ મુસાફરોએ ફરજીયાત ૧૪ દિવસ હોમ કોરોન્ટાઈન થવાનુ રહેશે

ભાવનગર જિલ્લામાં પ્રવેશ કરવા ભાવનગર તાલુકાની અધેળાઈ ચેક પોસ્ટ તેમજ વલ્લભીપુરની કેરીયા ઢાળ ચેકપોસ્ટ ખાતેથી લોકડાઉનના સમયથી જ મુસાફરોનું સ્ક્રીનીંગ તેમજ ચેક-અપ કરવામાં આવતું હતું.પરંતુ ત્યારબાદ જિલ્લામાં કોરોના વાયરસ COVID-19 ના ઝડપી સંક્રમણથી વધી રહેલા કેસોને ધ્યાને લેતાં તેમજ સદરહુ કેસોના સઘન કોન્ટેક્ટ ટ્રેસીંગ કરતાં મોટાભાગના કેસો સુરત જિલ્લાના, અમદાવાદ જિલ્લાના કે મુંબઇના હોવાનું ધ્યાને આવેલ છે. જેથી સુરત જિલ્લા, અમદાવાદ જિલ્લા અને મુંબઇથી આવતાં મુસાફરો/વાહનોનું સઘન મેડીકલ ચેક-અપ તેમજ મુસાફરોનું સરળતાથી મેડીકલ સ્ક્રીનીંગ/તપાસ થઇ શકે તે હેતુથી અન્ય રૂટ પરથી વાહનો ભાવનગર જિલ્લામાં પ્રવેશ નહીં થવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા દ્વારા નીચે મુજબ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામા આવેલ છે.
અમદાવાદ જિલ્લા, સુરત જિલ્લા કે મુંબઇથી આવતાં તમામ મુસાફરો/વાહનોને ભાવનગર જિલ્લામાં પ્રવેશ કરવા માટે ભાવનગર ગ્રામ્ય તાલુકાની અધેળાઇ ચેકપોસ્ટ અથવા વલ્લભીપુર તાલુકાની કેરીયા ઢાળ ચેકપોસ્ટ પરથી આરોગ્ય ચકાસણી/સ્ક્રીનીંગ કરાવીને જ ભાવનગર જિલ્લામાં પ્રવેશવાનું રહેશે.  અમદાવાદ, સુરત તથા મુંબઈથી આવતા મુસાફરો અધેળાઇ ચેકપોસ્ટ અથવા વલ્લભીપુર તાલુકાની કેરીયા ઢાળ ચેકપોસ્ટ સિવાય અન્ય સ્થળેથી ભાવનગર જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. અમદાવાદ જિલ્લા, સુરત જિલ્લા કે મુંબઇથી આવતાં તમામ મુસાફરોએ ભાવનગર જિલ્લામાં પ્રવેશ્યા બાદ તેમની આરોગ્ય ચકાસણી/સ્ક્રીનીંગ ન થાય ત્યાં સુધી કોઇ મુસાફરોએ વાહનમાંથી નીચે ઉતરવું નહીં. અમદાવાદ જિલ્લા, સુરત જિલ્લા કે મુંબઇથી આવતાં તમામ મુસાફરોએ ફરજીયાતપણે ૧૪ (ચૌદ) દિવસ Home Quarantine ના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. અન્યથા તેમના વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ- ૨૦૦૫ની કલમ ૫૧ થી ૫૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 
આ હુકમ સરકારી ફરજ પરના વાહનો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનો, ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા વાહનો તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી અવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૧૬/૦૭/૨૦૨૦ થી તા.૩૧/૦૭/૨૦૨૦ (બન્ને દિવસો સુધ્ધા) અમલમાં ગણાશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ- ૨૦૦૫ની કલમ ૫૧ થી ૫૮  માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રી તથા સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રી અને સંબંધિત તલાટી કમ મંત્રીને અધિકૃત કરવામાં આવે છે.

(10:22 pm IST)