Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પ્રેમી સાથેના આડાસંબંધમાં નડતરરૂપ થતા જામનગરમાં પતિનું કાસળ કાઢી નાખતી પત્નિ અને પ્રેમીના રિમાન્ડ મેળવવા તજવીજ

જામનગર : અષાઢી બીજના દિવસે પ્રેમિકાએ પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવતા અરેરાટી વ્યાપી ગઇ હતી. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

જામનગર તા. ૧૬ : જામનગરમાં કામદાર કોલોની શેરી નં. ૧ માં રહેતા નટવરલાલ હરજીભાઈ થાનકી નામના ૪૮ વર્ષના વિપ્ર યુવાનની તેની જ પત્નિ મંજુલા ઉર્ફે મીના અને તેણીના પ્રેમી ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામના દેવાણંદ અરજણ આહીરની મદદ થી નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી અને બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રેમમાં અંધ બની ગયેલી પત્નિનો ભાંડો ફૂટી ગયા પછી સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં પત્નિ મંજુલા ઉર્ફે મીના અને પ્રેમી દેવાણંદ સામે આઈપીસી કલમ ૩૦ર, ૧૦રબી તેમજ જીપી એકટ ૧૩પ(૧) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પત્નિ મંજુલા અને તેણીના પ્રેમી દેવાણંદની ધરપકડ કરી લેવામાં આવી છે અને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પુછપરછ દરમ્યાન પ્રેમી અને પ્રેમીકા બન્ને એક જ ગામના વતની છે અને અગાઉથી જ પરિચયમાં હતા અને ઘરમાં આવન–જાવન ચાલુ રહેતા હતા જે લગ્ન પછી માવતરે જતી વખતે મળવાનું થતું રહેતું હતું. છેલ્લા ત્રણ વર્ષથી બન્ને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ પણ બંધાયો હતો જયારે બન્ને વચ્ચે શારિરીક સંબંધ પણ બંચાઈ ચૂકયા છે.

બન્નેને પ્રેમમાં આડખીલીરૂપ થતો પતિનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડયો હતો જે મુજબ બનાવની આગલી રાત્રે પ્રેમી દેવાણંદ તેણીના ઘેર રોકાવા આવી ગયો હતો મોડી રાત્રે પતિ નટવરલાલ ઉંઘી ગયો હતો અને નિંદ્રાધીન અવસ્થામાં હતો તે જ સ્થિતિમાં તેના પર લોખંડના સળીયાથી પ્રહાર કરી ઢીમ ઢાળી દીધું હતું.

પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં પણ તિક્ષ્ણ તેમજ વજનદાર હથિયારના સાતથી આઠ જેટલા ઘા વાગવાથી મૃત્યુ નિપજયું હોવાનું તારણ નિકળ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.

(4:24 pm IST)