Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રાજાવડલામાં કોળી પરિણીતા આશા કુકાવાને અગનજ્વાળા ભરખી ગઇઃ ત્રણ સંતાન મા વિહોણા

પતિ જયંતિ કહે છે-હું કામે ગયો પછી આ પગલું ભરી લીધું, કારણ ખબર નથી

રાજકોટ તા. ૧૬: વાંકાનેરના રાજાવડલા ગામે રહેતી કોળી પરિણીતાનું દાઝી જતાં મોત નિપજતાં ચાર સંતાન મા વિહોણા થયા છે. પતિના કહેવા મુજબ પોતે કામે ગયો ત્યારે પાછળથી આ બનાવ બન્યો હતો. પત્નિએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધાનું અને કારણથી પોતે અજાણ હોવાનું કહ્યું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રાજાવડલામાં રહેતી આશાબેન જયંતિ કુકાવા (ઉ.૨૯) નામની કોળી પરિણીતા ગઇકાલે સવારે અગિયારેક વાગ્યે ઘરમાં એકલી હતી ત્યારે દાઝી જતાં દેકારો થતાં પડોશીઓ દોડી આવ્યા હતાં અને દરવાજો તોડી આગ બુઝાવી તેના પતિ જયંતિને જાણ કરતાં તે ઘરે દોડી આવ્યો હતો. આશાને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સાંજે મોત નિપજ્યું હતું.

આશાના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. જે મા વિહોણા થઇ ગયા છે. પતિ જયંતિ મનસુખભાઇ કુકાવા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ તેના માતા-પિતા પલાસડી ગામે રહે છે. પોતે પત્નિ અને સંતાનો અલગ રહે છે. સંતાનો નિશાળે ગયા હતાં અને પોતે કામે ગયો હતો ત્યારે આશા ઘરે એકલી હતી અને આ પગલુ ભરી લીધુ હતું. કારણ પોતાને ખબર નહિ હોવાનું કહ્યું હતું.

આશાના માવતર વાંકાનેર રહે છે. પિતાનું નામ ગગજીભાઇ પોપટભાઇ કરોળીયા છે. વાંકાનેર તાલુકા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)