Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

માં એ જ બ્રહ્મ અને બ્રહ્મ એ જ માં : શ્રી મોરારીબાપુ

શકિત સ્‍થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્‍સવ અને માંગલ શકિત સન્‍માન સમારોહ યોજાયો : સંતો-મહંતો અને હોદ્દેદારોની ઉપસ્‍થિતિ

ભાવનગર - ઇશ્વરીયા તા. ૧૬ : ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્‍તિ સ્‍થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્‍સવ અને માંગલ શક્‍તિ સન્‍માન સમારોહ પ્રસંગે શ્રી મોરારિબાપુએ શક્‍તિતત્‍વના ટૂંકા નિરૂપણમાં કહ્યું કે, માં એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એ જ માં છે.

શુક્રવાર રાત્રે ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્‍તિ સ્‍થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે ૨૬મો પાટોત્‍સવ ભવ્‍ય અને દિવ્‍ય રીતે ઉજવાયો. આ સાથે જ શ્રી માંગલ શક્‍તિ સન્‍માન સમારોહમાં શ્રી મોરારિબાપુના હસ્‍તે, સમારોહના પ્રેરક શ્રી માયાભાઈ આહીર તેમજ સાથે રહેલા શ્રી કીર્તિદાન ગઢવીના સંકલનથી ભજન લોકસાહિત્‍યમાં અમૂલ્‍ય પ્રદાન આપનારા શ્રી શંભુદાનજી રત્‍નુ, શ્રી લાખાભાઈ ગઢવી, શ્રી મોતીસિંહજી મ્‍હેડું, શ્રી ગીગાભાઈ બારોટ, શ્રી રતુદાનજી રોહડિયા તથા શ્રી હેમંતભાઈ ચૌહાણને પદક અને ચાદર સાથે ભાવવંદના કરાઈ હતી. આ સાથે જ ગુજરાત સાહિત્‍ય અકાદમીના મહામાત્ર શ્રી જયેન્‍દ્રસિંહ જાદવનું વિશેષ સન્‍માન કરાયું હતું.

શ્રી મોરારિબાપુએ માતાજીના નવરાત્રીના નવ અંક સાથે, તે પૂર્ણ અંક હોવાની વાત કરી અને માં એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એ જ માં છે તેમ જણાવી માં પૂર્ણ છે, બ્રહ્મ પૂર્ણ છે. આમ બંને તત્‍વ એક જ છે, કહેવામાં જ માત્ર ભિન્ન છે. માં જગદંબા આંસુ જોઈ શકે, આંસુ ઝીલી શકે અને આંસુ આવવા ન દે તેવું મહાત્‍મ્‍ય રહેલું છે. ભગુડા સ્‍થાનક તપેલું હોવાનો ભાવ વ્‍યક્‍ત કરી અન્‍ય સ્‍થાનોની પણ આવી સિદ્ધિ વધતી રહે, જેમાં કોઈ સ્‍પર્ધા નહિ, એકબીજા સ્‍થાનોનું મહાત્‍મ્‍ય વધતું રહે તેવી લાગણી વ્‍યક્‍ત કરી અને સમગ્ર ભારતવર્ષનું ભવિષ્‍ય ઉજળું હોવાના શુકન રહ્યા અંગે સંકેત કર્યો.

 

આ ધર્મ અને સંસ્‍કૃતિના પ્રસંગમાં સંતો મહંતો શ્રી કણિરામજી મહારાજ, શ્રી ઝિણારામજી મહારાજ, શ્રી શેરનાથજીબાપુ, શ્રી ટૂંડિયાજી મહારાજ, શ્રી રમઝુબાપુ, શ્રી બાલકનાથબાપુ, શ્રી ધનસુખનાથબાપુ, શ્રી દક્ષા માતાજી, શ્રી અન્નપૂર્ણા માતાજી સહિત કથાકારો વગેરેની આશિષ ઉપસ્‍થિતિ રહી હતી.

 

જાણિતા વક્‍તા સંચાલક શ્રી મહેશભાઈ ગઢવીના માર્ગદર્શન સાથેના આ વિરાટ આયોજનમાં સાહિત્‍યકાર કલાકારો શ્રી કીર્તિદાન ગઢવી, શ્રી લક્ષ્મણબાપુ બારોટ, શ્રી દેવાયત ગઢવી, શ્રી પરષોત્તમપરી ગોસ્‍વામી, શ્રી જીજ્ઞેશ બારોટ, શ્રી દેવાયત ખવડ, શ્રી દીપકબાપુ હરિયાણી, શ્રી અનુભા ગઢવી તથા શ્રી નાજાભાઈ આહીર દ્વારા ભજન લોકસાહિત્‍યની જમાવટ માણવા મળી હતી.

ગુજરાતના ગૌરવરૂપ રહેલ લોકસાહિત્‍યકાર માયાભાઈ આહીરના પ્રેરક આયોજનથી ભગુડા તીર્થમાં શ્રી માંગલ માતાજીના આ ઉત્‍સવ સમારોહમાં રાજયના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્‍યો કેશુભાઈ નાકરાણી,  અમરીશભાઈ ડેર તથા શ્રી કનુભાઈ બારૈયા અને અગ્રણીઓ રઘુભાઈ હૂંબલ, ભોળાભાઈ રબારી, રામભાઈ ભંમર, નથુભાઈ ભંમર, દિગુભા ગોહિલ, નરેન્‍દ્રભાઈ સાંગા, કિશોરસિંહ ગોહિલ,  જોરૂભાઈ ખુમાણ, પ્રતાપભાઈ આહીર સહિત મોટી સંખ્‍યામાં સામાજિક, રાજકીય અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે કાર્યકર્તા સેવકો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

(10:35 am IST)