Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

૨૧ કલાક સુધી ૧૦૮ એમ્બ્યુલન્સની રાહ જોઈ પરંતુ ન આવતા પ્રાઈવેટ વાહનમાં સારવારમાં જવુ પડયું

૧૫ થી ૨૦ ફોન કરવા છતાં ઘરે બેઠા મેડીકલ સારવારની સુવિધા ન મળતા ૫૬ વર્ષના દર્દી અશોકભાઈ સાનડીયાને પરિવારજનોએ હોસ્પીટલ પહોંચાડયા

તસ્વીરમાં સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં દર્દી પોતાનો વારો આવે તેની રાહ જોતા કારમાં નજરે પડે છે (તસ્વીરઃ વિજય વસાણી)

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૬ :. રાજકોટમાં કોરોના મહામારી વચ્ચે દર્દીઓ અને તેના સ્વજનોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. સમયસર મેડીકલ સુવિધા મળતી ન હોવાથી કોરોનાકાળમાં દર્દીઓના હાલબેહાલ થયા છે. આવા સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધા પણ સમયસર ન મળતા દર્દીને પ્રાઈવેટ વાહનમાં હોસ્પીટલે પહોંચાડયાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચર્ચા જાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મારૂતિ એપાર્ટમેન્ટ, ચોથો માળ, મીસ્ટર આર્યલેન્ડ, શાંતિવન પરિસર અંબીકા પાર્કની સામે નાનામવા રાજકોટ ખાતે રહેતા ૫૬ વર્ષના અશોકભાઈ નાગજીભાઈ સનાડીયાને ૩ દિવસ પહેલા કોરોના રોગના લક્ષણો જોવા મળતા રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેનોે રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમની ઘરે સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે સાંજે તેમનુ ઓકિસજન લેવલ ઘટી જતા સાંજે ૪ વાગ્યે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કરીને દર્દીની પરિસ્થિતિ જણાવવામાં આવી હતી અને દર્દીને હોસ્પીટલે તાબડતોબ પહોંચાડવા પડે તેવી સ્થિતિ હોવાનું પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમને જણાવ્યુ હતું. ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા પણ થોડીવારમાં દર્દીને લેવા માટે આવીએ છીએ તેમ જણાવ્યુ હતું. ત્યાર બાદ એમ્બ્યુલન્સની કલાકો સુધી રાહ જોવા છતા એમ્બ્યુલન્સ આવી ન હતી અને રાહમાં રાહમાં રાત પડી ગઈ હતી. ત્યાર બાદ આજે બીજા દિવસે પણ સવારથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરવામાં આવે છે પરંતુ થોડીવારમાં આવીશુ તેમ કહીને ફોન કટ કરી નાખવામાં આવે છે.

૧૦૮ એમ્બ્યુલન્સમા ગઈકાલ સાંજના ૪ વાગ્યાથી આજે બપોરના ૧ વાગ્યા સુધીમાં એટલે કે ૨૧ કલાક જેટલો સમય રાહ જોવા છતાં પણ ૧૦૮ની જરૂરીયાતવાળા દર્દીને ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા પ્રાપ્ત થઈ ન હતી.

અંતે કંટાળીને અશોકભાઈ નાગજીભાઈ સનાડીયાને પ્રાઈવેટ વાહનમાં રાજકોટની સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં પણ દર્દીને લાઈનમાં ઉભુ રહેવુ પડયુ છે અને પ્રાઈવેટ ઓકિસજનનો બાટલો મંગાવીને સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં કારમાં જ ઓકિસજન આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે દર્દીઓ અને તેના પરિવારજનો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર દર્દીઓના હિતમાં તાબડતોબ સારવાર આપે તે જરૂરી છે. કોરોના મહામારીના કેસ વધતા સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલોમાં દર્દીઓ તથા પરિવારજનોની લાઈનો લાગે છે.

(1:39 pm IST)