Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

આમરણઃ વિદ્યા સહાયકો તથા કાયમી શિક્ષકો માટેના પરીપત્રના જુદા અર્થઘટનથી અનેક વિટંબણા

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ૧૬ :.. રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણીક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા અનુદાનીત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જગ્યા પર ભરતી કરવા અંગેની પ્રસિધ્ધ થયેલ જાહેરાત અન્વયે ઓનલાઇન પ્રક્રિય હાથ ધરાશે તેવી ખબરથી  ઉમેદવારોમાં આનંદની લાગણી ફેલાઇ છે. પરંતુ સંયુકત શિક્ષણ નિયામક દ્વારા ત્યાર પછી બહાર પડાયેલ પરિપત્ર અનુસંધાને હાલ પ્રાથમિક માધ્યમિક ઉ.મા. શાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક, કાયમી શિક્ષકો માટે પરિપત્રે વિટંબણા અને અસમંજશની સ્થિતિનું નિર્માણ કર્યુ છે. તક, પસંદગી એન પ્રગતિના અધિકારોું હનન થઇ રહ્યાની લાગણી શિક્ષક સમુદાયમાં જોવા મળી રહી છે.

સભ્ય સચિવ અને સંયુકત શિક્ષણ નિયામક (માધ્યમિક) એચ. એન. ચાવડાની સહીથી તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સંબોધતા તા. ૧ર-૧-ર૧ ના પરિપત્ર દ્વારા જણાવાયું છે કે, ભરતી સમિતિને અનુભવે એવું જણાયું છે કે સરકારી-બિન સરકારી અનુદાનીત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક કે શિક્ષક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ઉમેદવારી માટે એનઓસી મેળવી ઉમેદવાારી નોંધાવે છે અને ફાઇનલ મેરિટમાં સમાવેશ પામી બાદમાં જે તે જિલ્લા, શાળામાં ફરજ પર હાજર થતા નથી જેને કારણે અંદાજે ૪૦ ટકા જેટલી જગ્યા ખાલી પડી રહે છે આમ નીચા મેરીટવાળા બેરોજગાર ઉમેદવારોને લાભ મળી શકતો નથી. જેથી હેતુ સિધ્ધ થતો નથી.

આ બાબત ધ્યાને લઇ હાલ નોકરીમાં કાર્યરત વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક કે શિક્ષક એનઓસી મેળવવા અરજી કરે ત્યારે આવા કર્મચારીઓ ખરેખર ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ તેઓને મેરીટ કમ પ્રેફરન્સના આધારે ફાળવાયેલ કોઇપણ જિલ્લા, શાળામાં હાજર થઇ ફરજ બજાવવા સહમત છે કે કેમ? તેની ચકાસણી કર્યા બાદ એનઓસી  આપવામાં આવે તે વધુ ઇચ્છનીય છે. તેવું ભરતી સમિતિનું મંતવ્ય છે જે ધ્યાને લેવા વિનંતી.

આ  પરીપત્ર સંદર્ભે શિક્ષક સમુદાયમાં ચર્ચાની વિગત મુજબ પરીપત્રમાં હેતુ સિધ્ધ કરવા માટેનો પ્રયાસ આવકાર્ય છે. પરંતુ કોઇના હકહિત કે પસંદ નાપસંદ પર તરાપ મારવી તે બાબત અસ્વીકાર્ય છે હેતુ સિધ્ધ કરવા કર્મચારીનો અધિકારને છિનવવો તે યોગ્ય નથી. કોઇ પણ વ્યકિતને પોતાના જીવનમાં પ્રગતી પસંદગી અને તક પ્રાપ્ત કરવાનો મુળભુત અધિકાર પ્રાપ્ત થયેલો છે. ત્યારે ભરતી પ્રક્રિયાના પ્રારંભે જ એનઓસી મેળવતી અને કોઇ કર્મચારી સહમતી કે અસહમતી કઇ રીતે દર્શાવી શકે?

કોઇ પણ પ્રાથમીક શિક્ષકને માધ્યમીકને ઉ.મા. શિક્ષક બનવાનું સપનું હોય તે સ્વાભાવીક છે. સાથોસાથ વ્યકિત વતન અને કુટુંબ ભાવનાથી જોડાયેલો હોય છે ત્યારે એવુ પણ બને કે દુરનો જીલ્લો, શાળા નાપસંદ પણ કરી શકે છે આવી સ્થિતિમાં કર્મચારી 'ના વાંધા પ્રમાણપત્ર' મેળવતી વખતે કઇ રીતે સહમતી કે અસહમતી દર્શાવી શકે? ?

નોકરી કરતા ૪૦ ટકા કર્મચારી પસંદગી બાદ ફરજ પર હાજર નહી થતા હોય જગ્યા ખાલી રહે છે તે વાત પણ સુસંગત નથી. ખાલી જગ્યા પર ત્યાર પછીના ઉતરતા મેરીટ ક્રમાંકવાળા ઉમેદવારોને વેઇટીંગ લીસ્ટ મુજબ નિમણુંક આપી ખાલી જગ્યાઓ પુરી શકાય છે તો પછી હાલ ફરજ બજાવતા વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયકોને માનસીક તણાવમાં મુકવાનો અને ભાવી તરક્કી કરતા રોકવાનો પ્રયાસ અસ્થાને છે. વારંવાર માત્ર શિક્ષણ ગિભાગમાં જ અસમંજશની સ્થિતિ જોવા મળે છે.  બીજુ કે સરકારના અન્ય વિભાગના કર્મચારીને શિક્ષણ વિભાગમાં ઉમેદવારી કરતા પહેલા સહમત છો કે કેમ? તેવું જો ન પુછી શકાતુ હોય તો પછી માત્ર શિક્ષણ વિભાગના જ કર્મચારીની આવી ચકાસણી શા માટે ? તેવો વેધક સવાલ થઇ રહયો છે.

પરીપત્રમાં જિલ્લા શિક્ષણાધીકારીને વિવેક બુધ્ધિથી કર્મચારીને એનઓસી આપવાનો નિર્ણય લેવાનું સુચવાયું છે ત્યારે જો કર્મચારી અસહમતી દર્શાવે છે તો શું એનઓસી નહી આપવામાં આવે ? તેવો ડર સતાવી રહયો છે. શંકાકુશંકાઓ સેવાઇ રહી છે. સક્ષમ સતાધિકારીઓ હવે વિવેકબુધ્ધિથી કઇ રીતે ચકાસણી કરશે તે જોવાનું રહયું. ઘણા  સમયથી  પ્રક્રિયાની રાહ જોઇને બેઠેલા શિક્ષણ કર્મચારીઓમાં હતાશાની લાગણી છવાઇ છે. કાનુની મુદો ઉપસ્થિત થાય તે પહેલા સંવેદનાહીન પરીપત્ર રદ કરવા માંગણી ઉઠી છે.

(12:01 pm IST)