Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

મોરબીના કાલિકા પ્લોટ ફાયરીંગ કેસમાં યુપીની કુખ્યાત ગેંગના સાગરીત સહીત ચારની ધરપકડ

ફાયરિંગ આરીફ મીરની હત્યા માટે કર્યા હોવાની કબૂલાત ;વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શકાયતા

મોરબી: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં કરવામાં આવેલા ફાયરીંગ આરીફ મીરની હત્યા માટે જ કરવામાં આવ્યા હોવાની કબુલાત ફાયરીંગ કરનારા આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી.આ આરોપીઓને રહેવા માટેની વ્યવસ્થા આરીફના સગા ભાઇ મુસ્તાક મીરની હત્યા કરનારા શનાળા ગામના રહેવાસી હિતુભાના કહેવાથી કરવામાં આવી હતી. જે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.પોલીસે યુપીના બલિયા જિલ્લાની કુખ્યાત ગેન્ગના સુરેશસિંહ ઠાકુર અને હિતુભાના ભાઇ સુરેન્દ્ર સિંહ સહીત કુલ 4 આરોપીઓની ધરપકજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

   મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત શનિવારે સાંજના સમયે કરવામાં આવેલ અંધાધુંધ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં આરીફ મીર, ઇમરાન સુમરા, વિશાલ બાંભણીયા, શીફાબેન અને આરોપી સુરેશસિંહ ઉર્ફે રાજવીર સિંહ ઇજા પામ્યા હતા. ત્યાર બાદ તેમને તાત્કાલીક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિશાલ બાંભણીયાનું મોત નીપજ્યું હતું. જેથી હત્યા, હત્યાનો પ્રયત્ન, આર્ન્સ એકત સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આરોપીને પકડવાની કવાયત શરૂ કરી હતી. તે દરમિયાન સુરેશસિંહ ઉર્ફે રાજવીર સિંહ ઠાકુરને રાજકોટ સિવિલમાંથી રજા આપવામાં આવી હતી.

હત્યાના કેસમાં મોરબી એ-ડીવીઝન પોલીસે ફાયરીંગ કરવા માટે આવેલા આરોપી સુરેશસિંહ ઉર્ફે રાજવીર સિંહ ઠાકુર તેમજ શનાળાના હિતુભા ઝાલાના કહેવાથી શનાળા ગામમાં આરોપીને રહેવા માટેની વ્યવસ્થા કરી આપનારા તેના ભાઇ સહીત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને આરીફ મીરને મારવા માટે મોકલવામાં આવ્યો હોવાની તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી છે.

મોરબીમાં ચાલી રહેલી ગેંગ વોરમાં ભાડુતી મારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે વાત સામે આવી હોવાથી પોલીસ દ્વારા ઝીણવટ પૂર્વક તપાસને આગળ વધારવામાં આવી રહી હતી અને જે આરોપી ઇજાગ્રસ્ત થયો હતો તે વોન્ટેડ હોવાની એટીએસને માહિતી મળી હતી. એટીએસની ટીમ પણ મોરી આવી પહોંચી હતી અને આરોપીએ હત્યાના 6, હત્યાનો પ્રયત્ન, લુંટ, ધાડ સહિતના કુલ 27 ગુનાને અંજામ આપ્યો છે અને મોટાભાગના ગુનામાં તે વોન્ટેડ જ હતો.

પત્રકારોને માહિતી આપતા એસપીએ કહ્યું કે, આરોપી સુરેશસિંહ ઉર્ફે રાજવીર સિંહ ઠાકુર તેમજ તેની સાથે અન્ય થાન શખ્સ કાલિકા પ્લોટ વિસ્તારમાં ફાયરીંગ કરવા માટે ગયા હતા. જોકે તે લોકો મોરબીમાં આવ્યા ત્યારે હિતુભાના કહેવાથી શનાળા ગામે આવેલા ભરતભાઇ બોરીચાનું મકાન કે જે દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજાએ ખરીદી કરી છે તેમાં રોકાયા હતા. જેથી આરોપીને રહેવા માટે મદદગારી કરવાના ગુનામાં તે બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપી પાસેથી લોડેડ પિસ્ટલ કબજે કરવામાં આવી હતી. હિતુભાઇના ભાઇ સુરેન્દ્ર સિંહ કરણસિંહ ઝાલાની પણ હાલમાં ધરપકડ કરવામાં આવી છે. આમ કુલ ત્રણ પિસ્ટલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ફાયરીંગ કરવા માટે કાલિકા પ્લોટમાં ગયેલા આરોપી સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંહ ઠાકુરે પ્રાથમિક તપાસમાં કબુલ્યું છે કે, તેને આરીફ મીરની હત્યા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને તેનું કામ પૂરું થાય પછી તેને પેમેન્ટ દેવાનું હતું. જોકે, સોપારી કેટલામાં લેવામાં આવી હતી તે અંગે આરોપી રીઢો ગુનેગાર હોવાથી હજુ પોલીસને કોઇ જાણકારી આપી નથી.

ફરિયાદી આરીપ મીરે હિતુભા ઝાલા, મુળરાજસિંહ જાડેજા અને વિજયસિંહ કડી તેમજ અનેય 4 મળીને કુલ 7 શખ્સોની સામે ફરિયાદ નોંધીવી છે. જે પૈકી હિતુભાનો રોલ શું છે તેવો સવાલ કરતા પોલીસે કહ્યું કે, યુપીથી સોપારી લઇને આવેલ ગેંગના આરોપી સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંહ ઠાકુર સહિતનાને રહેવા માટેની વ્યવસ્થા હિતુભાના કહેવાથી કરવામાં આવી હતી. તેના જ ઘરમાંથી આરોપી પાસે હતી તેવી જ પિસ્ટલ મળી આવી છે જેથી આરોપીના રિમાન્ડ લઇને વધુ પૂછપરછ કરવામાં આવે ત્યારે કેટલીક વધુ ચોકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

મોરબીમાં ચાલી રહેલી ગેંગ વોરમાં કાલિકા પ્લોટ વિસ્તારમાં કરવામાં આવેલા ફાયરીંગના કેસમાં પોલીસને આજે મોટી સફળતા મળી છે. અને ફાયરીંગ કરનાર શખ્સ સહીત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં આ હત્યા કેસનું કાવતરૂં ઘડનાર મુખ્ય આરોપી હિતુભા ઝાલા સહિતના આરોપીને પોલીસે દબોચી લેશ તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ બીજા રાજ્યમાંથી હત્યા કરવાની સોપારી લઇને આવેલા આરોપી પાસેથી પોલીસ કેટલી વિગતો ખોલાવી શકે છે કે તે તો આગામી સમય જ બતાવશે.

(12:24 am IST)