Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સાવજોનું વેકેશન પૂરું

આવતી કાલથી સિંહ દર્શન માટે વન વિભાગની લીલીઝંડી

ગીર તા. ૧પ :.. ઓકટોબરથી વનરાજોનું વેકેશન ખૂલશે. એ દિવસે સવારે ૬ વાગ્યાથી વિધિવત વન વિભાગ દ્વારા લીલી ઝંડી દેખાડી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. બીજી બાજુ થોડાક દિવસ પછી દિવાળીનું વેકેશન પણ આવી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર દેખાઇ રહ્યા છે.

ગીર અભયારણ્યમાં સિંહદર્શન માટે અત્યારથી મોટી સંખ્યામાં લોકોએ એડવાન્સ પરમિટ બુકીંગ પણ કરાવવાનું શરૂઆત કરી દીધું છે. બીજી બાજુ આ વખતે મેઘરાજા ગુજરાત પર સારા એવા મહેરબાન થયા છે ત્યારે ગીર પંથકમાં વધુ વરસાદ પડયો હોવાથી ગીરની વનરાઇઓ સોળે કળાએ ખીલી ઊઠી છે. સિંહોનું વેકેશન ખૂલતાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહદર્શન કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે ૧૬ જૂનથી ૧પ ઓકટોબર સુધી સિંહદર્શન બંધ રાખવામાં આવે છે, કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. એથી દર વર્ષે આ સમયગાળા દરમિયાન સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અહીં લાખોની સંખ્યામાં સહેલાણીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે. બીજી બાજુ છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા પર૩ આસપાસ હતી, હવે આશરે ૭૦૦ ઉપર સાવજોની સંખ્યા પહોંચી છે ત્યારે આ ચાર માસનો સિંહો માટેનો સંવનનકાળ ગુજરાત માટે કેટલો મહત્વનો સાબિત થાય છે એ આવનારો સમય દેખાડશે.

(10:28 am IST)