Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

કાલે અટલજીની પ્રથમ માસીક પુણ્યતિથી : સૌરાષ્ટ્ર-કચ્છમાં સેવાકાર્યો

કાલે જૂનાગઢમાં વિનામુલ્યે બ્લડ ગૃપીંગ કેમ્પ : ભાજપ દ્વારા કાવ્યાંજલી

રાજકોટ તા.૧૪ : ભારતનાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇજી તા.૧૬ને રવિવારે પ્રથમ માસીક પુણ્યતિથી નિમિતે વિવિધ સેવા કાર્યો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કરવામાં આવશે.

જે અંતર્ગત રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપ તથા વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા નિદાન કેમ્પ, કવિ સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે.

જૂનાગઢ

જૂનાગઢ : ભારતના લોકહૃદય સમ્રાટ નેતા અને ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે તા. ૧૬ને રવિવારે સાંજે ૬ થી ૮ સુધી ભવનાથમાં આવેલ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે બ્લડ ગ્રુપીંગ કેમ્પ રાખેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે તા. ૧૭ને સોમવારના રોજ સાંજના પ થી ૭ સુધી આઝાદ ચોકમાં આવેલ રેડક્રોસ સોસાયટીના પાછલા ગ્રાઉન્ડ ખાતે હિમોગ્લોબીન તપાસણીનો કેમ્પ રાખેલ છે તો બંને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે. આ બંને કેમ્પનું આયોજન સર્વોદય બ્લડ બેંક દવા ફંડ ટ્રસ્ટ તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને સહયોગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે.

અત્રે યાદ રહે કે જૂનાગઢમાં મહેન્દ્રભાઇ મશરૂએ આજથી ૪૯ વર્ષ પહેલા શરૂ કરેલ સ્વૈચ્છીક રકતદાન પ્રવૃતિ ૫૦માં વર્ષમાં પ્રવેશેલ છે. તેના સંદર્ભમાં આ વર્ષ દરમિયાન ૫૦ સદપ્રવૃતિઓ કરવામાં આવનાર છે તે પૈકી આ બે કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે.

જૂનાગઢ-ભાજપ

જૂનાગઢ : રવિવારે સાંજે પ કલાકે નોબલ સ્કુલ, ગિરીરાજ મેઇનરોડ ખાતે જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા ભારત રત્ન, કાવ્ય સમ્રાટ, વિરલ વ્યકિતત્વ, નિતીશ્રેષ્ઠ રાજનીતીજ્ઞ અને પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે તેમના સ્વકંઠે કંડારાયેલા કાવ્યોના પઠનનો કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમની કવિતાઓના પઠન દ્વારા પૂજનીય અટલજીને માસિક પુણ્યતિથિએ શ્રધ્ધાંજલી આપવામાં આવનાર છે.

 આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, મેયરશ્રીમતી આદ્યશકિતબેન મજમુદાર, ડે.મેયર ગિરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઇ ધુલેશીયા, શાસકપક્ષ નેતા - મહામંત્રી શહેર ભાજપ પુનિતભાઇ શર્મા, મહામંત્રી ચંદ્રેશભાઇ હેરમા, મહામંત્રી ભરતભાઇ શીંગાળા, શહેરના અગ્રગણ્ય નાગરીકો, સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે.

ભારત માતાના પરમ વૈભવના શિખરે પહોચાડવાની કામના સાથે સતત દેશના સારા માટે જીવનારા પૂર્વ વડાપ્રધાનશ્રી અટલજીના કંઠે ગવાયેલી કવિતા પઠનના આ કાવ્યાન્મય શ્રધ્ધાંજલી સમારોહમાં સમગ્ર જૂનાગઢ શહેરના શહેરીજનો, નગરશ્રેષ્ઠીઓ,પક્ષના આગેવાનોએ હાજરી આપવા શહેર ભાજપા દ્વારા અપીલ કરાય છે.(૪૫.૮)

 

(12:37 pm IST)