Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઉના પાસે ૩ બાઇક અથડાતા ર યુવાનોના મોત

અકસ્માતમાં એક મહિલા સહિત ૩ ત્રણ વ્યકિતઓને ગંભીર ઇજાઃ સારવાર માટે ખસેડાયા : ઉના-દેલવાડા-નાળિયા માંડવી રોડ ઉપર વધતા અકસ્માતોઃ પાંચ દિવસમાં પ વ્યકિતઓનો ભોગ લેવાયોઃ ૧૦ થી વધુ વ્યકિતઓને ઇજા

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧પ :.. ઉના-દેલવાડા રોડ ઉપર ૩ બાઇક અથડાતા થયેલ અકસ્માતમાં ર યુવાનો સૈયદ રાજપરાના પરેશભાઇ શરદચંદ્ર પંડયા (ઉ.૪પ) રહે. દીવ અને સુનિલભાઇ અશોકભાઇ રાઠોડ (ઉ.ર૪) રે. સૈયદ રાજપરાવાળાનું ઘટના સ્થળે મૃત્યુ થયા હતાં.

અકસ્માતમાં એક મહિલા સહિત ૩ વ્યકિતઓને ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે.

ઉના-દેલવાડા રોડ પર પંપ પાસે અકસ્માતે ત્રણ બાઇક સામસામે અથડાયા હતાં. જેમાં સ્થળ પર જ બે બાઇકના ચાલકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયેલા હતાં. જયારે બાઇક પાછળ બેઠેલાઓ પૈકી એક મહીલા અને બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઉના થી દેલવાડા જતા રોડ ઉપર ઉનાથી ૪ કિ. મી. દુર વિજય એલ. પી. જી. પમ્પની આગળ બે મોટર સાયકલ નંબર એક મોટર સાયકલ નંબર જીજે-૩ર-પી૦-૮ર૧પ ઉનાથી દેલવાડા તરફ જતી હતી ત્યારે સામેથી આવતી ડીડી-૦ર-એ-રપ૧૬ ડબલ સવારી વાહન સાથે ધડાકાભેર ભટકાતા રોડ ઉપર પડી ગયા હતાં. ત્યારે ત્રીજુ મો. સાયકલ જીજે-ર૪-એજી-૯૧પપ પણ ભટકાતા ભયંકર હતો કે મોટર સાયકલનો ભુકકો થઇ ગયો હતો.

આ અકસ્માત અંગે કોઇ રાહદારી દ્વારા ૧૦૮ ઇમરજન્સીને જાણ કરવામાં આવેલ હતી. જેના પગલે ઘટના સ્થળે પહોંચેલ ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને ઉના ખાતે હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતાં.

આ અકસ્માતમાં બાઇક પર સવાર પરેશભાઇ શરદચંદ્ર પંડયા (ઉ.વ.૪પ) રહે. દિવ, સુનિલભાઇ અશોકભાઇ રાઠોડ (ઉ.વ.ર૪) રહે. સૈયદ રાજપરાવાળાનું સ્થળ પર  મૃત્યુ થયેલ અને તેમની લાશોને પીએમ માટે સરકારી હોસ્પીટલએ ખસેડવામાં આવેલ હતાં.

અકસ્માતમાં સુરેશભાઇ સોલંકી (ઉ.વ.૩પ) રહે. વણાંકબારા, સવિતાબેન (ઉ.વ.૬૦) રહે. વણાંકબારા, હિતેષભાઇ દિલીપભાઇ બાંભણીયા (ઉ.વ.૧૯), રહે. સૈયદ રાજપરાને ગંભીર ઇજા થઇ હતી. ત્રણેયને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જયાં ત્રણેયની હાલ સારવાર ચાલી રહી છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ અને તપાસ હાથ ધરી છે.

ઉના-દેલવાડા-નાળિયા માંડવી રોડ ઉપર અકસ્માતો વધતા જાય છે પાંચ દિવસમાં પ વ્યકિતઓનો ભોગ લેવાયો છે અને ૧૦ થી વધુ વ્યકિતઓને ઇજા થઇ છે.

(12:11 pm IST)