Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કચ્છમાં ત્રણ યુવાનોના આપઘાત-પત્નીના મૃત્યુના વિરહમા પતિનો આપઘાત, આદિપુરમાં ગીર સોમનાથના યુવાનનો આપઘાત

ભુજ તા. ૧પ :.. સંજોગોનો પડકાર ઝીલીને જિંદગી જીવવાને બદલે હારી થાકીને મૃત્યુની શરણાગતિ સ્વીકારી આત્મહત્યા દ્વારા જીવન ટૂંકાવવાનાં પુરૂષોનાં અને ખાસ કરીને યુવા વર્ગનાં વધતા જતા કિસ્સાઓ સમાજ માટે ચિંતાજનક છે.

માંડવીના મમાયમોરા ગામના ૩૦ વર્ષીય ભરત ખીમજી સંઘારે તેની પત્નીએ આપઘાત કર્યા બાદ પત્નીનો વિરહ ન જીરવાતાં  બાવળની ઝાડીએ જઇ બાવળનાં ઝાડમાં રસ્સી બાંધી આપઘાત કરી લીધો હતો. મૃતક યુવાને લખેલી સ્યુસાઇડ નોટમાં પત્નીનાં આપઘાતનો ઉલ્લેખ અને તેણી વગર ન રહેવાતું હોવાનું જણાવી આપઘાત કરવાનું કારણ દર્શાવ્યુ હતું.

આદિપુરમાં જનતા હાઉસમાં રહેતા અને મુળ ગીર સોમનાથનાં ર૬ વર્ષીય યુવાન અશ્વિન હરદાસ સોલંકીએ પંખામાં દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ પોતાના ઘરમાં જ જીવ દીધો હતો.તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

મૃત્યુ પહેલા તેણે પોતાના મિત્ર ને આપઘાતનો એસએમએસ કર્યો હતો પણ મિત્ર એ એસએમએસ મોડો જોતાં આ યુવાને તે પહેલા જ મોતની સોડ તાણી લીધી હતી. ત્રીજા બનાવમાં અંજારનાં કાપડી વાડીમાં રહેતા ર૬ વર્ષીય યુવાન જગદીશ વશરામ મકવાણા એ પોતાના ઘેર ગળે ફાંસો ખાઇ લીધો હતો.

પરીણીત એવા જગદીશની પત્ની પિયર ગઇ હતી ત્યારબાદ તેણે પોતાના ઘેર જ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ હતું. આ પાળનું કારણ જાણવા મળ્યુ નથી.

(12:02 pm IST)