Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

માળીયામિંયાણા પાસે લૂંટારૂ ટોળકીનો આતંકઃ ટ્રક ડ્રાઇવરની હત્યા

૭ થી ૮ લૂંટારૂઓએ એક પછી એક ચાર ટ્રક ડ્રાઇવરો પાસેથી ૩૦ હજારથી વધુની મતા લુંટી લીધીઃ ટ્રક ડ્રાઇવર સુખરામ પાલે પ્રતિકાર કરતા ગળુ દબાવી હત્યાઃ વાહન ચાલકોમાં ફફડાટ

 

તસ્વીરમાં હત્યા ભોગ બનનાર ટ્રક ડ્રાઇવરનો મૃતદેહ અને બીજી તસ્વીરમાં લુંટાયેલ ટ્રક નજરે પડે છે.

મોરબી, તા., ૧૫: માળીયા મિંયાણા પાસે ગત રાત્રે લુંટારૂ ટોળકીએ આતંક મચાવી ૩ ટ્રક ડ્રાઇવરોને લુંટી લીધા હતા અને એક ડ્રાઇવરની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઇ છેે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિંયાણા પાસે અમદાવાદ હાઇવે પર વાઘરવા ગામ પાસે આજે વ્હેલી સવારે જીજે-૧૦ વી-૭૦૬ર નંબરનો ટ્રક ચાલક સુખરામ રામમિલન પાલ (રહે. સુલતાનપુર, યુપી)  ને ૭ થી ૮ લુંટારૂ શખ્સોએ રોકી તેને માર મારી લુંટવાની કોશીષ કરતા ડ્રાઇવર સુખરામ પાલે પ્રતિકાર કરતા લુંટારૂ ટોળકીએ તેનું ગળુ દાબી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ લુંટારૂઓએ ડ્રાઇવર સુખરામના  ખિસ્સામાંથી ૧પ હજારની રોકડ અને મોબાઇલ ફોન લુંટી લીધો હતો.

ડ્રાઇવરની હત્યા કર્યા બાદ લુંટારૂ ટોળકીએ હાઇવે પર રીતસરનો આતંક મચાવ્યો હતો અને એક પછી એક નિકળેલ ત્રણ ટ્રક ડ્રાઇવરોને ધમકાવી લુંટી લીધા હતા. લુંટારૂ ટોળકીએ કુલ ૪ ટ્રક લુંટી અને ૩૦ હજારથી વધુની રકમ લુંટી લઇ એક ડ્રાઇવરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

વ્હેલી સવારે લુંટ વીથ મર્ડરની ઘટના બનતા માળીયા મિંયાણાના પીએસઆઇ જે.ડી.ઝાલા ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકને લાશને પીએમ માટે મોરબી હોસ્પીટલમાં ખસેડી હતી. બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી બી.ડી.જોષી, એલસીબીના પીએસઆઇ આર.ટી.વ્યાસ તથા મોરબી એસઓજીના પીઆઇ સાટી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લુંટારૂ ટોળકીનું પગેરૂ દબાવવા કવાયત હાથ ધરી છે.

માળીયા મિંયાણા પાસે હાઇવે પર લુંટારૂ ટોળકીના આતંકથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. (૪.૧)

(11:48 am IST)