Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

રાજકોટમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવાની બોર યોજના ના ભુલાય તે જો..જો.

કોર્પોરેશનના અધિકારી-પદાધિકારીઓ સુજલામ-સુફલામ યોજનામાં હોશે-હોશે ભલે જોડાવ પરંતુઃ ગતવર્ષે મેયર જૈમનભાઇ ઉપાધ્યાય દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે બોરયોજના ની જાહેરાત કરેલઃ ગયા વર્ષે અવિરત મેઘકૃપાને કારણે ઠેર-ઠેર પાણી ભરાતા રાજકોટ વાસીઓએ ઘણી યાતના ભોગવી હતીઃ જરૂર પડયે વરસાદી પાણી રોડ પર ભરાવાની માહિતી પ્રજા પાસેથી પણ માંગજો બાકી પાણી ભરાવાની ફરીયાદો રેકર્ડ ઉપર હશે જઃ ગતવર્ષે જાહેર કરેલી બોર યોજનામાં પાછી પાની નહિ કરતા..: જો બોર યોજના જાહેર કરશો તો સામાજીક સંસ્થાઓ-ઉદ્યોગપતિઓ પણ સહકાર આપશે

રાજકોટ તા.૧૫: ચાલુ વર્ષે રાજકોટ સહિત રાજયમાં સર્જાયેલ ભયંકર પાણી સમસ્યાને પહોચી વળવા અને ભવિષ્યમાં આ પાણી સમસ્યામાંથી છુટકારો મેળવવા રાજય સરકારે ગુજરાતના સ્થાપના દિવસથી સમગ્ર રાજયમાં ગ્રામ્ય કક્ષાએ સુજલામ-સુફલામ અભિયાન હાથ ધરી આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ નદી-નાળા ચેકડેમોમાંથી કાપ કાઢીને ઉંડા ઉતારવાનું ભગીરથ કાર્ય હાથ ધયું છે.

અને પક્ષના આ ભગીરથ કાર્યમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ જોડાયેલા છે. આખો માસ ચાલનાર આ અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા તેમજ જમીન માં ઉતારવા માટે જળ સિંચનના કાર્યો જેવા કે ચેકડેમ-તળાવ નદીને ઉંડા ઉતારી તેના પાણીની સંગ્રહક્ષમતા વધારવા પ્રયાસો હાથ ધર્યા છે. જેથી ભવિષ્યમાં ગુજરાતની જનતાને પાણીની સમસ્યા નડે નહિં.

ગુજરાત સરકારના અભિયાનમાં રાજકોટ મ્યુ. કોર્પો.ના અધિકારીઓ-પદાધિકારીઓથી લઇ પક્ષના નાનામાં નાના કાર્યકરોએ જોડાઇને શ્રમદાન કરવાનો સંકલ્પ કર્યો છે જે આવકાર દાયક છે.

આપણે કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓને એટલું જ કહેવાનું કે રાજયસરકારના આ અભિયાનમાં સાથે ભલે સહયોગ આપ્યો પણ રાજકોટ શહેરના લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાનુ઼ ભુલતા નહિં.

ગયા વર્ષે રાજકોટમાં ખુબજ સારો વરસાદ થયો કન્ટીન્યુ બે ત્રણ કલાક સુધી અથવાતો આખી રાત મેઘરાજાએ અમી વર્ષા વરસાવી રાજકોટમાં ધરતી પાણીથી તૃપ્તકરી દીધી હતી. અને આ વરસાદ દરમિયાન રાજકોટના અનેક વોર્ડના વિસ્તારોમાં રસ્તા પર શેરીઓમાં વરસાદના પાણી ભરાઇ જતા અનેક લોકો અને વાહનચાલકો ને કલાકો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડેલ. રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ ની કોઇ વ્યવસ્થા ન હોવાથી આવી સ્થિતિ સર્જાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે જયારે રાજકોટમાં મુશળધાર વરસાદ પડેલ અને ઠેરઠેર પાણી ભરાયા હતા લોકો એ મુશ્કેલી સહન કરવી પડેલ ત્યારે લોકોની યાતના  જોઇને રાજકોટના મેયર જૈમનભાઇ ઉપાધ્યાયે ગતવર્ષે જ ભવિષ્યમાં મુશ્કેલી ન પડે તે માટે વરસાદી પાણીના નિકાલ માટે જયાં જયાં પાણી ભરાય છે ત્યાં બોર બનાવી પાણી જમીનમાં ઉતારવા માટે બોર યોજનાની જાહેરાત કરી છે.

હવે આગામી વર્ષે પણ સારો અસરકારક વરસાદ પડવાની આગાહી થઇ રહી છે ત્યારે રાજકોટ મ્યુ. કોર્પો.ના મેયર કમિશ્નરે વરસાદી પાણી જમીનમાં ઉતારવાની બોર યોજનાની કામગીરી અત્યારથી જ આરંભવી જોઇએ.

વરસાદ સમયે પાણી ભરાયાની આવેલ ફરીયાદો પરથી કોર્પોરેશનમાં વરસાદી પાણી જે જે સ્થળે ભરાય છે. તેની માહિતી ઉપલબ્ધ કરો અને જરૂર પડયે વરસાદમાં કયા રોડ રસ્તા પર સોૈથી વધુ પાણી ભરાય છે તેની માહિતી લોકો પાસથી પણ મેળવવી જોઇએ.

અત્યારે રાજકોટમાં આમ જોઇએ તો રૈયા ચોકડી, માધાપર ચોકડી, બીઆરટીએસ બસ સ્ટોપ પાસે, રૈયા રોડ પર આઝાદ ચોક, પોપટપરાનું નાલુ, લક્ષ્મીનગરનું નાલુ, હેમુગઢવી હોલ પાસેનું નાલું, ટાગોર રોડ પર હેમુગઢવી રોડ પર મુખ્ય દરવાજા પાસે સિવિલ હોસ્પિટલ ચોક થી જામનગર રોડ તરફ, તેમજ સિવિલ કોર્ટના દરવાજા પાસે અને નવા રેલનગર અન્ડરબ્રિજમાં પુષ્કળ પાણી ભરાય છે.

મ્યું કોર્પોરેશન પાણી ભરાતા વિસ્તારોના પોઇન્ટ નકકી કરી તાકીદે જળ સિંચનના ભાગરૂપે તાકીદે રોડ સાઇડ નીચાણવાળા વિસ્તારોમાં ૨૦૦ થી ૩૦૦ ફુટનો બોર કરવા જોઇએ જેથી વરસાદી પાણી જમીનમાં ઉતારી શકાય જો કોર્પો.ના અધિકારીઓ-પદાધિકારીઓના હૈયામાં રાજકોટની જનતાનું હિત હોય તો આ વર્ષે વરસાદી પાણી ભરાવાની રાજકોટની જનતાને મુકિત આપવી જોઇએ તેેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

હજુ દોઢ મહિના (૩૦જુન) સુધી નો સમય છે જો કોર્પોરેશન ના અધિકારીઓ-પદાધિકારીઓ અત્યારથી જ આયોજનબધ્ધ તૈયારી શરૂ કરશે તો રાજકોટમાં આસાનીથી ૨૫-૩૦ જગ્યાએ બોર બનાવી શકાશે. અને લોકોની યાતનાનો અંત આવશે.(૨૧.૩)

રાજયકક્ષાએ સુજલામ-સુફલામ યોજનાની માફક શહેરી  વિસ્તારોમાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતારવા બોર યોજના અભિયાન ચાલુ કરાવોઃ વિજયભાઇ

રાજકોટ તા.૧૫: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોૈરાષ્ટ્ર ગુજરાતમાં વિકટ બનેલી પાણી સમસ્યાના ઉકેલ માટે ભવિષ્યમાં પાણીની મુશ્કેલીથી બચવા ગ્રામ્ય કક્ષાએ સુજલામ સુફલામ યોજના જાહેર કરી આ અભિયાન હેઠળ ગામોગામ નદી-તળાવ-ચેકડેમો ઉંડા ઉતારવાની જે યોજના જાહેર કરી છે તે આવકારદાયક છે.

ગુજરાતના કાર્યશીલ મુખ્યમંત્રીએ ગ્રામ્ય કક્ષાની જેમ શહેરી વિસ્તારમાં પણ ગામોગામો લોકો રોડ રસ્તા ચોકમાં ભરાતા વરસાદી પાણી થી ત્રસ્ત હોય છે ત્યારે રાજકોટ સોૈરાષ્ટ્ર સહિત ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં મુખ્ય રસ્તા પર ભરાતા પાણીના નિકાલ માટે બોર યોજના જાહેર કરી પુષ્કળ પાણી જમીનમાં ઉતારવાની યોજના તાત્કાલીક કાર્યાન્વિત કરવી જોઇએ. જો મુખ્યમંત્રી શ્રી આ યોજનાના અમલીકરણ માટે નગરપાલિકા મહાનગરપાલિકા બોર યોજના માટે ટાર્ગેટ સાથે આદેશ આપેતો આ શહેરી વિસ્તારની બોર યોજના માટે સામાજિક સંસ્થાઓ-વેપારી ઉદ્યોગપતિઓનો પણ સહયોગ સો ટકા મળશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરી પોતાના મતવિસ્તાર અને કર્મભુમિ રાજકોટ થી જ આ યોજનાનો પ્રારંભ કરાવી રાજકોટ વાસીઓને વરસાદી પાણીથી મુકિત અપાવશે તેવી લાગણી રાજકોટના મતદારો પ્રજાજનોમાં પ્રવર્તી રહી છે.

રેલનગર અન્ડરબ્રિજમાં બોર બનાવવાની કામગીરીને અગ્રતા આપવી જોઇએ..

નહિ તો ગતવર્ષની જેમ પાણી કાઢવા મશીન મુકવા પડશે

રાજકોટઃ રાજકોટમાં રેલનગરવાસીઓને પોપટપરામાંથી ફરીને આવવામાંથી મુકિત અપાવવા રેલનગર અન્ડરબ્રિજ નિર્માણ કરેલ પરંતુ રેલનગર અન્ડરબ્રિજ નિર્માણ બાદ પ્રથમ વર્ર્ષેજ તેમાં પુષ્કળ પાણી ભરાઇ જતા રેલનગરવાસીઓએ ભારે મુશ્કેલી ભોગવવી પડેલ. પાણી એટલી હદે ભરાયું હતું કે કોર્પોરેશનના અધિકારીઓએ પાણીના નિકાલ માટે મશીન મુકવા પડેલ આ મશીન દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવતા આ બધુ પાણી રેલનગર વિસ્તારમાં જ અનેક શેરીઓમાં જમાં થતા ફરી અનેક લોકોને મુશ્કેલી ઉભી થયેલ હતી.

આવી પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે અત્યારથી જ બોર યોજનાની કામગીરી આરંભી દેવી જોઇએ અને રેલનગર અન્ડર બ્રિજમાં એક અથવા બે બોર સાઇડમાં બનાવી કામગીરીનો પ્રારંભ કરવા લોકમાંગણી ઉઠી છે.

 

(9:19 am IST)