Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું તાંડવ : ૩૨ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન

મુન્દ્રામાંથી સેંકડો મજૂરો વતન ભણી : જંગી ગામે ૮ દિ'માં ૧૦ મોત ચોપડે ૬૮ નવા કેસ, ૩ મોત : નેતાઓ - અધિકારીઓ મિટીંગોમાં વ્યસ્તઃ વેન્ટિલેટર નથી, ઇન્જે., ઓકિસજનના કાળાબજાર વચ્ચે આરટીપીસીઆર રિપોર્ટ ૫ દિ' સુધી મળતા નથી : રેપિડ ટેસ્ટીંગ કીટની અછત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : કચ્છના શહેરી વિસ્તારો પછી હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે. પણ, તંત્ર અને નેતાઓ મિટિંગમાં વ્યસ્ત છે. જોકે, મિટિંગ પછી નેતાઓ આરટીપીસીઆર ટેસ્ટ, ઈન્જેકશન, ઓકિસજન વિશે જે જાહેરાતો કરે છે તે ગુલબાંગો સાબિત થઈ રહી છે. અત્યારે કચ્છમાં ઓકિસજન, વેન્ટિલેટર, રેમિડીસિવિર ઈન્જેકશનની ભારે અછત છે. આ બાબતો ખુદ તબીબ, કેમિસ્ટ એસો. સાથે કલેકટર વચ્ચેની બેઠક દરમ્યાન પણ ચર્ચાઈ હતી.

અત્યારે કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે નેતાઓ અને તંત્ર સયુંકત બેઠક યોજયા પછી જે જાહેરાતો કરે છે, તે દાવાઓ પોકળ પુરવાર થઈ રહ્યા છે. કચ્છમાં એક દિવસમાં આરટીપીસીઆર ટેસ્ટ આપવાની સુવિધા ઊભી કરવાની જાહેરાત વચ્ચે વાસ્તવિકતા એ છે કે, પાંચ પાંચ દિવસ સુધી રિપોર્ટ મળતાં નથી. રેપિડ કીટ નથી.

સરકારી ચોપડે અત્યાર સુધીના રેકર્ડ ૬૮ કેસ નોંધાયા છે. તેમ જ ૩ મોત બતાવાયા છે. વાસ્તવિકતા એ છે કે, ભચાઉ પંથકના ૭ ગામોમાં તાવના અનેક કેસો છે. લોકો ડર થી ફફડે છે. એ વચ્ચે જંગી ગામમાં ૮ દિવસમાં ૧૦ મોત નીપજયા છે. રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવતાં દર્દીઓને તંત્ર સ્વીકારતું નથી.

ભુજના કેરા ગામે પણ અડધો અડધ દર્દીઓ પોઝિટિવ નીકળે છે. અહી રેપિડ કીટ ખૂટી પડતાં દાતાઓએ લઈ આપ્યા બાદ ટેસ્ટ થઈ રહ્યા છે. ભુજ અને ગાંધીધામમાં નાઈટ કરફયુ પછી પણ કેસ વધ્યા છે.

જયારે કોરોનાના તાંડવથી કચ્છના ૩૨ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન છે. સરકારે લોકડાઉન નહીં થાય એવી સ્પષ્ટ જાહેરાત કરી હોવા છતાંયે કોરોનાની આ બીજી લહેરમાં મુન્દ્રામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો પૈકી અંદાજે ૧૦ હજાર મજૂરો મુન્દ્રા છોડી વતન ભણી રવાના થઈ ગયા હોવાનું લેબર યુનિયનના શંકર જયસ્વાલ કહે છે.

(11:32 am IST)