Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

નલિયામાં વાયુ સેનાની અલ્ટ્રા મેરેથોન દોડનો પ્રારંભ

એક ભારત શ્રેષ્ઠ ભારત મેરેથોનમાં એરફોર્સ તથા કોસ્ટગાર્ડના જવાનો જોડાયા

પોરબંદર તા. ૧૫ : કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત પહેલી ભારતીય વાયુસેનાની અલ્ટ્રા મેરેથોન દોડનો આરંભ થયેલ છે. મેરેથોન દોડમાં અનુક્રમે ૭૫ કિમી, ૧૦૦ કિમી અને ૧૬૦ કિમીની ત્રણ શ્રેણીઓ રાખવામાં આવી છે. એર હેડકવાર્ટર, ઇન્ડિયન એરફોર્સ વિવિધ કમાન્ડ અને ભારતીય કોસ્ટગાર્ડના જવાનો આ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે.

આ સ્પર્ધા યોજવાનો મૂળ ઉદ્દેશ્ય શ્નએક ભારત, શ્રેષ્ઠ ભારતલૃના સૂત્રને અનુલક્ષીને સશસ્ત્ર દળો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને સમાજમાં સુસંગતતા લાવવાનો છે. આવા કાર્યક્રમોમાં ભાગ લેવાથી વાયુસેનાના યોદ્ઘાઓને તેમની સહનશકિતની કસોટી કરવાની તક મળે છે અને એરફોર્સનો જુસ્સો બતાવી શકે છે. આ કાર્યક્રમમાં સ્પર્ધકોએ ૭૫ કિમી ૧૨ કલાકમાં, ૧૦૦ કિમી ૨૪ કલાકમાં અને ૧૬૦ કિમી અંતર ૩૬ કલાકમાં પૂરું કરવાનું છે. સહનશકિતની જરૂર હોય તેવી રમતોમાં ભાગ લેવા માટે સ્પર્ધકોને આકરી તાલીમ આપીને તૈયાર કરવામાં આવ્યા છે જેમાં તેમણે પોતાની શારીરિક અને માનસિક મજબૂતી સામે પડકારોનો સામનો કરવો પડે છે.

નલિયા ખાતે એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર ઇ.જે. એન્થોની વીએસએમએ અલ્ટ્રા મેરેથોનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. જખૌ ખાતે આવેલી ભારત સોલ્ટ ફેકટરીથી શરૂ થયેલી આ મેરેથોનમાં કચ્છના મનોરમ્ય વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે. નલિયાના વાયુસેનાના યોદ્ઘાઓ પણ સ્પર્ધકોનું મનોબળ વધારવા માટે થોડા કિલોમીટર સુધી તેમની સાથે દોડ્યા હતા. ૭૫ કિમીની દોડ આજ દિવસે ૧૮૩૦ કલાકે પૂરી થઇ હતી. 'કયારેય હાર ના માનવી' અભિગમ સાથે સ્પર્ધકોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો. ૧૦૦ કિમી અને ૧૬૦ કિમીની દોડ ૧૫ ફેબ્રુઆરી ૨૦ના રોજ અનુક્રમે ૦૬૩૦ કલાકે અને ૧૮૩૦ કલાકે પૂરી થશે.

(11:44 am IST)