Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ધર્મ અને જાતીવાદના રાજકારણમાં જવાના બદલે ધોરાજીના સમતોલ વિકાસની રાજનીતિ થવી જોઇએઃ લલિત વસોયા

ભાજપના અણધડ શાસનના કારણે શહેરની દુર્દશાઃ કોંગ્રેસના પ્રહારો

ધોરાજી તા.૧પ : નગરપાલિકાની ચૂંટણી અન્વયે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આઝાદ ચોક ત્રણ દરવાજા ખાતે સભાનુ આયોજન કરાયુ હતુ. જનસભામાં ધોરાજી, ઉપલેટા ધારાસભ્ય લલિતભાઇ વસોયા, નગીનભાઇ વોરા, દિલીપભાઇ જાગાણી, અમીતભાઇ નવીવાલા, એડવોકેટ ડી.સી.વોરા, અરવિંદભાઇ કાપડીયાએ મંચ પરથી વકતવ્ય આપી ભાજપા શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા.

જનસભામાં ધારાસભ્ય લલિતભાઇ વસોયા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ રાખોલીયા તેમજ કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.૧ થી ૯ના તમામ ઉમેદવારો મંચ પર બેઠા હતા. જયારે આ જનસભામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.

ધારાસભ્ય લલીત વસોયાએ નગરપાલિકાની ગત ટર્મમાં રહેલ ભાજપા શાસનને અણધડ શાસન ગણાવ્યુ હતુ. ગત ભાજપા શાસિત નગરપાલિકામાં લોકોએ પાંચ-પાંચ વર્ષ સુધી પ્રાથમિક આવશ્યક કામો માટે પીડા ભોગવવી પડી હોવાનુ જણાવેલ. તેમણે વિશેષ જણાવેલ કે નગરપાલિકાની ગત ચૂંટણીમાં ભાજપાના ર૪ પૈકી ર૪ ઉમેદવારો ચૂંટાયા હતા. તેમ છતાં શહેરમાં નબળા કામો થતા હોવાની બાબતે ર૪માંથી ૧ર સભ્યોએ શા માટે રાજીનામા ધરવા પડયા ? જે તે સમયે ધોરાજીના ધારાસભ્ય ભુગર્ભગટરમાં વપરાતી ઇંટો જાહેરમાં તોડી મટીરીયલ નબળુ હોવાનો દાો કરે અને ફરી એ જ મટીરીયલ વપરાઇ ? આવા અનેક ભ્રષ્ટાચારો થયા હોવાનો આરોપ કરાયો હતો. નગરપાલિકાના અણધડ અને નિષ્ફળ વહીવટ બદલ ભાજપાના રાજમાં ભાજપાની નગરપાલિકા અપરસીડ થઇ સરકારે ભાજપાના નગરસેવકોને ગેરલાયક ઠેરવ્યા તેમજ વિશેષ જણાવેલ કે ધોરાજીની દુર્દશા પાછળ માત્ર નગરસેવકો જ જવાબદાર નથી પરંતુ નગરપાલિકા કચેરીમાં નગરપાલિકાનો વહીવટ થતા ન હતા. ગામને ગોંદરેથી નગરપાલિકાનું સંચાલન થતુ હોય તો પછી આ જ સ્થિતિ સર્જાઇ...ધર્મ અને જાતીવાદના રાજકારણમાં જવાને બદલે શહેરના સમતોલ વિકાસની રાજનીતિ થવી જોઇએ.

જો કોંગ્રેસ નગરપાલિકાની શાસનધુરા સંભાળશે તો નગરપાલિકાની દરેક સમિતિમાં શહેરના પ્રતિષ્ઠીત અને તમામ ધર્મ નીતિના બૌધિક બીનરાજકીય અગ્રણીઓને સામેલ કરાશે. માત્ર સભ્યો નહી શહેરના પ્રબુધ્ધ નાગરીકો સાથે મળી નગરપાલિકાનો વહીવટ ચલાવશે...નગરપાલિકાના વિવિધ કામોના ટેન્ડર નગરપાલિકા કચેરીમાં નહી જાહેરમાં આઝાદ ચોકમાં પ્રજા વચ્ચે ખોલાશે. કોંગ્રેસ પોતાની નગરપાલિકાનો વહીવટ પારદર્શક અને પ્રમાણિકપણે કરશે તેવી ખાત્રી આપી હતી.

(1:09 pm IST)