Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પોરબંદરમાં હાશમીમીંયાનું આગમન : સાંજે સંમેલન : ચોપાટી મેદાન નારાઓથી ગુંજી ઉઠશે

પોરબંદર, તા. ૧પ : પોરબંદર ખાતે પંજેતની ગ્રુપ દ્વારા 'મેરા ભારત મહાન' મહાસંમેલનનું સમગ્ર સૌરાષ્ટ્ર લેવલનું નગરપાલિકા પાર્ટી પ્લોટ, ચોપાટી મેદાન ખાતે આજે સાંજે મગરીબની નમાઝ બાદ રાખવામાં આવેલ છે.

આ 'મેરા ભારત મહાન' મહાસંમેલનમાં આબરૂ-એ-એહલે સુન્નત, તાજદારે મુલ્કે ખિતાબ, શેહઝાદા-એ-મખદુમુલ-મિલ્લત, ફરઝંદે-મોહદિસે આઝમે હિન્દ, શહનશાહે ખિતાબ, અલ્હાજ પીરે તરીકત હુઝુર ગાઝીએ મિલ્લત સૈયાદ મુહમ્મદ હાશમીમીંયા (અશરીફ યુલ જીલ્લાની, કીછૌછા શરીફ) ખાસ ઉપસ્થિત રહેવના છે.

હુઝુર ગાઝીએ મિલ્લત સયદ મુહમ્મદ હાશમીમીંયાના સમગ્ર વિશ્વમાં કરોડોની સંખ્યામાં અનુયાયીઓ છે અને ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં ભારે લોકચાહના ધરાવતા ધર્મગુરૂઓની યાદીમાં આવે છે અને સમગ્ર ભારત દેશના સુન્ની મુસ્લિમના 'શેર' તરીકે તેઓ ઓળખાય છે અને સમગ્ર વિશ્વમાં તેઓ શાંતિ-ભાઇચારો અને અમન, દેશપ્રેમનો સંદેશો લઇને ચાલે છે અને આજ સંદેશો લઇ તેઓ પોરબંદરમાં આવી રહ્યાં છે.

'મેરા ભારત મહાન' મહાસંમેલનમાં દેશ પ્રતયેની સાચી લાગણી પેદા થાય તેમજ દેશબંધુઓ સાથે હળીમળીને અને એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણી પેદા થાય અને ભાઇચારાની ભાવના વધે અને એકબીજા હળીમળીને રહે અને પોતાના દેશ પ્રત્યે વફાદારી કેળવે તે જ સાચી સદ્ભાવના છે તે હેતુસર આ સૌરાષ્ટ્ર લેવલનો મહાસંમેલન રાખેલ છે.

આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી મોટી મોટી ખાનકાઓના પીરે તરીકતો અને સુફીસંતો અને સાદાતે કીરામ ઉલમાએ કીરામ સહિતના હજારોની સંખ્યામાં દરેક ગામ શહેરમાંથી મુસ્લિમ આગેવાનો અને ચાહકો ઉપસ્થિત રહેવાના છે.

આ 'મેરા ભારત મહાન' નગરપાલિકા પાર્ટી પ્લોટ, એસ.ટી. રોડ, ચોપાટી મેદાન પાસે, સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી રાખેલ છે. જેમાં પ્રબર વકતા હાશમીમીંયા પોતાનું સંબોધન આપનાર હોઇ ચોપાટી મેદાન નારાથી ગાજી ઉઠશે તેમ આરીફ મલેકની યાદી જણાવે છે.

(11:16 am IST)