Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જો જગતનો તાત સુખી થશે તો આખો દેશ સુખીઃ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ ખેડૂતોની સમૃધ્ધિનો આધાર છે.. : અમરેલી જીલ્લાના ખડસલીમાં ગ્રામ સેવા કેન્દ્ર લોકશાળામાં કિસાન સંમેલન યોજાયું

અમરેલી, તા.૧૫:રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ખડસલી ગ્રામસેવા કેન્દ્ર લોકશાળા ખાતે કિસાન સંમેલનમાં ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાતની ભૂમિ ખરેખર મહાપુરુષોની ભૂમિ છે. ગુજરાતમાં વસતા નાગરિકો ખૂબ જ સાત્વિક, ધાર્મિક અને ખૂબ જ કર્મનિષ્ઠ છે જેમનો ભારત દેશને આગળ વધારવામાં મોટો સિંહફાળો છે.

રાજયપાલશ્રીએ ગાંધીજીના વિચારોને વ્યવહારમાં ઉતારી શિક્ષણક્ષેત્રે પાયાનું કાર્ય કરતી ખડસલી લોકશાળાની શિક્ષણની કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે, આ સંસ્થા શિક્ષણની સાથે શ્રમ અને કર્મના વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ સમાજના સાચા નાગરિક બને તે માટે ભગીરથ કાર્ય કરે છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દાયકાઓથી આપણા ખેડૂતમિત્રો રાસાયણિક ખેતી તરફ વળ્યા હોવાથી દિવસે દિવસે ઉત્પાદન દ્યટી રહ્યું છે. જેના લીધે ખેડૂતોને કરજના બોજ નીચે જીવવું પડે છે. આજે રાસાયણિક ખેતીના પરિણામે લોકો બ્લડપ્રેશર, હૃદયરોગ, કેન્સર જેવી ખતરનાક બીમારીઓનો સામનો કરે છે. પણ જો આજે એ જ ખેડૂત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો એમનું ઉત્પાદન પણ બમણું થશે અને દેશને ઝેરયુકત આહારની જગ્યાએ પોષણયુકત આહાર આપી શકશે. આમ થવાથી ખેડૂતની આવક પણ વધશે અને દેશની આર્થિક સ્થિતિ પણ સુધારો થશે. આમ, જો જગતનો તાત સુખી થશે તો આખો દેશ સુખી થશે.

મકરસંક્રાંતિના પાવન અવસરે રાજયપાલશ્રીએ સંસ્થાની ગૌશાળાની મુલાકાત લઈ ગાયમાતાની પૂજા કરી સંચાલકો સાથે વિસ્તારમાં વાતો કરી હતી.

આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી કપિલભાઈ શાહ અને મનસુખભાઈ સુહાગીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં લોકશાળા સંસ્થાના સંચાલક શ્રી મનુભાઈ મહેતાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાનો પરિચય આપ્યો હતો. અશ્વિનભાઈ ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વમંત્રી શ્રી વી. વી. વાઘસીયા, જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ સહિતના અધિકારીશ્રીઓ -પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યાં હતા.(૨૨.૨૨)

 

(1:14 pm IST)