Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વિરપુર (જલારામ)માં અનૌપચારિક શ્રીરામકથાનું અનુષ્ઠાન પૂ.મોરારીબાપુ દ્વારા ૧૯૮૨માં થયું'તુ

રાજકોટ,તા.૧૫: પારકું હોય કે પોતિકું-કોઈના ય મોઢે કોળિયો મૂકીને પોતાને કોઠે ટાઢક અનુભવતી અને અન્નદાનને મહાદાનઙ્ગ સમજતી આપણી આ ભાતીગળ કાઠીયાવાડી ભોમકા ઉપર, સોરઠ પંથકમાં વીરપુર ધામે પૂજય મોરારી બાપુના શ્રીમુખેથી કૂલ કથાક્રમની ૮૪૦મી કથા ૧૮ તારીખ ને શનિવારે સાંજે ૪ વાગ્યે રામકથા રૂપી પ્રેમગંગા વહેશે.

લોહાણા કુળના તો ખરા જ, પરંતુ સમગ્ર માનવજાતના ઉજ્જવળ દીવડા સમાન સંત જલારામ બાપાની દ્વારા આજથી બરાબર બે સદી પહેલાં, ભૂખ્યાને ટુકડો આપવા માટે બાપા જલારામ અને મા વીરબાઇનાં તપથી ઊભા થયેલા અન્નક્ષેત્રના બસો વર્ષ પૂરા થયા છે, ત્યારે તેનાં દ્વિશતાબ્દી મહોત્સવના રૂડાં ટાણેં જલારામ બાપાની પુણ્ય ભૂમિમાં રામકથાના શ્રવણનો લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે પૂજય મોરારી બાપુની ૬૦ વર્ષની કથા યાત્રામાં આ પૂર્વે કૂલ ૮૩૯ પૈકીની 'સંગીતની દુનિયા' પરની કથા-યાદી પ્રમાણે માત્ર બે જ કથા વીરપુર ધામમાં થઈ છે.

સૌ પ્રથમ ૫૭૪મી અને વીરપુરની પહેલી 'માનસ રામભગત'  તારીખ ૩/૧૧/૨૦૦૧થી આરંભાયેલી. પછીના એક દાયકા બાદ કથાક્રમની ૭૦૫મીઅને વીરપુરની બીજી 'માનસ ભગત' ૧૦/૧૨/ ૨૦૧૧થી આરંભાયેલી.

પરંતુ કથા ક્રમમાં નહી નોંધાયેલી એવી એક રામકથા ૧૯૮૨ના શ્રાવણ માસમાં અહીં બાપુ દ્વારા ગવાઈ છે.

અલબત્ત્।, આ કોઈ પૂર્વ આયોજિત રામકથા ન હતી, પરંતુ એક વખત પૂજય બાપુને જલારામ ધામ ખાતે પૂજય જયરામ બાપાના સત્સંગમાં રહેવાની ઇચ્છા થઈ અને બાપુ વિરપુર પહોંચ્યા.

સ્વાભાવિક રીતે જ સંતો મળે ત્યારે સત્સંગ થાય! બાપા જલારામના ધામમાં તો રામનામના ગાણાં જ હોયને? સહુને અનુકૂળ એવા સાંજ ઢળ્યા પછીના સમયે રામચરિત માનસના કથા પ્રસંગો પરનો પૂજય મોરારી બાપુનો, સંતો અને શ્રાવકો સાથેનો સત્સંગ શરૂ થતો. એ રીતે વીરપુર ધામ ખાતે એક અનૌપચારિક રામકથાનું અનુષ્ઠાન પૂજય મોરારી બાપુના શ્રીમુખેથી ૧૯૮૨માં થઇ ચૂકેલું ! એ રીતે જોઈએ તો ૧૮ તારીખથી આરંભાતી વીરપુર ધામ ખાતેની આ ચોથી કથા ગણાય.

કેવળ કચ્છ- કાઠિયાવાડ- ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતના અને ધરતીના ખૂણે ખૂણે રહેતા વીરપુરધામના હરિભકતો અને બાપુના શ્રાવકો ભકત શિરોમણી પૂજય જલારામ બાપા અને ભકત સતિ માતા વીરબાઈ મા ના પાવન ધામમાં સત્યઙ્ગ પ્રેમ, કરુણાના સંત પૂજય મોરારીબાપુ દ્વારા ગવાનારી રામકથાનું શ્રવણામૃતનું પાન કરવા પધારી રહ્યા છે.

(11:12 am IST)