Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રાજ્યના સર્વાંગી વિકાસાર્થે તમામ સમાજના લોકો શિક્ષિત બને : વિજયભાઇ

ગોંડલમાં માંધાતા પ્રાગટય મહોત્સવની ઉજવણી : રેલી નિકળીઃ આપણે શિક્ષણનો વ્યાપ વધારવાનો છે અને કુરિવાજોને કાયમી તિલાંજલી આપવાની છે : કુંવરજીભાઇ

ગોંડલ તા. ૧૫ : કોળી સમાજના ઇષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય ઉત્સવ ગઇકાલે મકરસંક્રાંતિ ના રોજ શ્રી માંધાતા ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી માંધાતા પાર્ટી પ્લોટથી વિશાળ સંખ્યામાં રેલી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધતા જણાવ્યુ હતુકે સમાજનાં છેવાડાનાં માનવીનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર સંકલપ બધ્ધ રીતે આગળ વધી રહી છે અને તે માટે સરકારે અનેકવિધ સંવેદનાસભર કલ્યાણકારી નિર્ણયો લીધા છે તેમજ રાજય સરકાર સમાજનાં નબળવગર્નાં ઉત્થાન માટે તબકકાવાર પગલાભરી રહી છે, જેમ કેઙ્ગ ગરીબ પરીવારને લગ્ન સમારોહ માટે રાહત દરે એસ.ટી. ફાળવવામાં આવે છે અને માર્ગ અકસ્માત થાય તો અકસ્માતનો ભોગ બનનાર કોઇ પણ ગુજરાતનાં નાગરીકને રૂ. પ૦ હજારનો ખર્ચ રાજય સરકાર ભોગવી રહી છે જે તમામ લોકોને માટે રાહતરૂપ બની રહેલ છે. લોકોના આરોગ્ય અને તબીબી સેવાની ચિંતા કરી રાજય સરકાર દ્વારા લોકોના હિતાર્થે રૂ. ૧૦૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે દેશના તમામ લોકોને પોતાનું ઘરનું ઘર હોય તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે, આ સ્વપ્નને સકાર કરવા માટે કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર હોય તે માટે વિવિધ આવાસ યોજના અમલમાં મુકેલ છે. રાજયમાં ૪૦૦થી વધારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી આઙ્ગ સરકાર ખરા અર્થમાં આમ લોકોની સરકાર છે તેની પ્રતિતિ લોકોને થઇ રહી છે. વિશેષમાં રાજયના સર્વાંગી વિકાસાર્થે તમામ સમાજના લોકો શિક્ષિત બને તેવુ આ તકે મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતુ

રાજયનાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે,સમાજમાં સૈા સહિયારા પુરૂષાર્થથી સમાજનો સર્વાગી વિકાસ કરવા સંકલ્પબધ્ધ થવાનું છે તે માટે શિક્ષણનો વ્યાપ વધારવાનો છે અને આપણે કુરીવાજોને કાયમી તિલાંજલી આપવાની છે અને તે માટે શ્રેષ્ઠ ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરવાનું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોનાં હસ્તે સમારોહમાં મંગલદીપ પ્રગટાવી સમારોહનું ઉદઘાટન કર્યુ હતું. આ તકે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું સમાજનાં અગ્રણીઓ ધ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યુ હતુ જેમાં શ્રી ભગવદ ગો મંડળ ગ્રંથાવલી તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતાં.

સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરતા પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે,સમાજએ સંગઠિત થઇને આપણે આપણો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ તકે પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સમાજ અગ્રણી કાળુભાઇ ડાભી, જયંતિભાઇ ઢોલ, કલાકાર કિરણકુમાર, ભુપતભાઇ ડાભી વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતાં. ગોંડલનાં રાજમાર્ગો ઉપર કોળી સમાજનાં ઇષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવ અન્વયે વિશાળ રેલી ધામધુમ સાથે ફરી હતી રેલીમાં સંતો-મહંતો, સમાજનાં અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં.

(11:45 am IST)