Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સુરેન્દ્રનગરમાં લૂખા આવારા તત્વો બેફામ રિવરફ્રન્ટ પર શ્રીમદ્ રાજચન્દ્રજીની પ્રતિમાની તોડફોડઃ જૈન સમાજમાં રોષ

આટર્સ કોલેજથી જોરાવરનગર તરફ જતા રસ્તા પર પ્રતિમા મુકાઈ હતી પ્રતિમાને નુકસાન પહોંચાડનારા બે શકમંદ...

સુરેન્દ્રનગર, તા.૧પઃ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર આર્ટસ કોલેજથી જોરાવરનગર તરફ જતા રસ્તા પર આવેલી શ્રીમદ રાજચન્દ્રની પ્રતિમાની તોડફોડ કરાતા જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે. રવિવારે સવારે જૈન સમાજના લોકોને આ ઘટના અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસને આ દ્યટના અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દ્યટનાસ્થળે દોડી આવ્યો હતો. જયારે નજીકમાં આવેલા સીસીટીવી કેમેરામાં બે શખ્સો પ્રતિમાને નુકસાન પહોંચાડતા કેદ થઇ ગયા હતા આથી આ ફુટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર પાલિકાતંત્ર દ્વારા રિવરફ્રન્ટ પરથી આર્ટસકોલેજ તરફ જતા ત્રણ રસ્તા પર શ્રીમદ રાજચન્દ્રની પ્રતિમાનું થોડા સમય પહેલા અનાવરણ કરાયું હતું. શનિવારે મોડી રાત્રે કે રવિવારે વહેલી સવારના સમયે કોઇ અસામાજીક તત્વોએ પ્રતિમાના ચહેરાના જમણા ભાગ અને મથાના ભાગે તોડફોડ કરી હતી. પોલીસને આ ઘટના અંગે જાણ કરાતા ડીવાયએસપી સહીતનો પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અરજી લઇ સીસીટીવી ફુટેજમાં કેદ થયેલા બાઇકસવાર બે શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એન.બી.ડોડીયાએ જણાવ્યું કે ફુટેજમાં બાઇકમાં બેઠેલા શખ્સોના ચહેરા કે બાઇક નંબર સ્પષ્ટ દેખાતા નથી તેમ છતાં તોડફોડ કરનારાને ઝડપી લેવાના પ્રયાસો ચાલુ છે. પ્રતિમાને નુકસાન પહોચાડતાં બે શખ્સ સીસીટીવીમાં કેદ થયા હતા. લોકોના ટોળા ઉમટ્યા હતા.(૨૩.૩)

(11:42 am IST)