Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ભાવનગરમાં બેંક કેશિયરના ઘરમાં સવા લાખની મતાની ચોરીઃ પરિવાર રાજકોટ લગ્નમાં ગયેલ

ભાવનગર તા.૧૪ : ભાવનગરમાં જવેલ્સ સર્કલ નજીક રહેતા અને બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતા પરબતભાઇ પટેલ તેના પરિવાર સાથે રાજકોટ લગ્નમાં ગયા હતા ત્યારે તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા ઘરેણા મળી કુલ રૂ.સવા લાખની મતાની ચોરી કરી નાસી છુટયા હતા.

ચોરીના આ બનાવની મળતી વિગતો મુજબ શહેરના જવેર્લ્સ સર્કલ નજીક જોવહુત સોસાયટીમાં રહેતા અને શાસ્ત્રીનગરમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં કેશિયર તરીકે ફરજ બજાવતા લેઉવા પટેલ પરબતભાઇ જાદવભાઇ પટેલ તેના મિત્રની દિકરીના લગ્ન પ્રસંગે પરિવાર સાથે રાજકોટ ગયા હતા ત્યારે તેના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ ઘરમાં પ્રવેશી કબાટના તાળા તોડી તિજોરીમાં રહેલા રોકડ રૂ.૧પ હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૧,ર૦,૦૦૦ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા.

આ અંગે ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા જ ડોગ સ્કવોર્ડ, એફએસએલની ટીમ, એલસીબી પોલીસ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. (૩-૯)

(11:47 am IST)