Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મોરબીમાં ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા મહાસંમેલન-રેલી : ખેડૂતો ઉમટયા

કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો

મોરબી, તા. ૧૪ : ભારે વરસાદ, વાવાઝોડા, કમોસમી વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકશાન થતા આજે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સરદારબાગ સામે કોંગ્રેસ દ્વારા મહાસંમેલન અને રેલી યોજાઇ હતી જેમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં.

મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિ અને માવઠા તથા વાવાઝોડાને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકશાન પહોંચ્યું છે. તેથી ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે આજે મોરબીમાં મહા સંમેલન અને રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

દરમ્યાન આજે જીલ્લા આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવી મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિ અને માવઠાથી થયેલા નુકશાનનું વળતર ખેડૂતોને ચૂકવવાની માંગ કરી છે અને ખેડૂતોને આ મુદે્ યોગ્ય ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

અતિવૃષ્ટિ અને માવઠાગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂત મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીએ જીલ્લા કલેકટરને આવેદન આપીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, મોરબી જીલ્લા સહિત ગુજરાતના ખેડૂતો અતિવૃષ્ટિ, વાવાઝોડા માવઠાનો ભોગ બન્યા છે. એમના ખેતરોમાં ઉભેલા પાકોને પારાવાર નુકશાન પહોંચ્યું છે. મોટા ભાગના પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે ખેડૂતોને થયેલી નુકશાનીની ભરપાઇ કરવા માતબર રકમનું પેકેજ જાહેર કરી તેનો તાત્કાલીક અમલ કરવા ખેતીથી પાયમાલ થયેલા ખેડૂતોને સ્વનિર્ભર બનવા લાંબાગાળા માટેની વગર વ્યાજબી બેન્ક લોન આપવાની માંગ કરી છે. આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો ખેડૂતો અને ખેડૂતોના સમર્થકોને સાથે રાખીને આમ આદમી પાર્ટીએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

(12:49 pm IST)