Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અમરેલી :દલિત યુવાન મહેશ ઝાલાની હત્યાના આરોપીઓની મહિના પછી પણ ધરપકડ નહીં થતા પરિવારજનોના ઉપવાસ

અમેરેલીના યુવાન મહેશ ઝાલાની હત્યાના આરોપીઓની ધરપકડ ન થતાં તેના પરિવારના સભ્યો અમરેલી કલેકટર કચેરીની સામે આવેલી ઉપવાસી છાવણીમાં ઉપવાસ પર ઉતરી ગયા છે. દલિત યુવાન મહેશ ઝાલાની હત્યાના એક મહિના પછીપણ ત્રણ આરોપીઓની ધરપકડ ન થતા અને પોલીસ તરફથી માત્ર વાયદા જ મળતા ફરિયાદી, કુટુંબ અને સમાજના આગેવાન અમરેલી જીલ્લા કલેકટર આયુશકુમાર અને જીલ્લા એસ.પી. નીર્પ્લિત રાયને આવેદનપત્ર આપીને ઉપવાસ પર બેસી ગયા છે.

  આવેદનપત્રમાં ફરિયાદી રતિલાલ રામજીભાઈ ઝાલાએ માંગણી કરી હતી કે, 'અમારાં દિકરા મહેશ ઝાલાના ત્રણ હત્યારાઓની દોઢ મહિનો થવા છતાં ધરપકડ ન કરવામાં આવતાં આ ત્રણે આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરી જેલ હવાલે કરવા અને અમોને ન્યાય મળે તે માટેની માંગણી સાથે અચોક્કસ મુદતના ઉપવાસ પર ઉતરીશું.'

  અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં તારીખ ૨જી ઓક્ટોબરે, ૨૦૧૮ના રોજ આ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ફરિયાદી રતિલાલ ઝાલાના યુવાન પુત્ર મહેશને ૧લી ઓક્ટોબરે, ૨૦૧૮નાં રોજ ત્રણ લોકોએ કાવતરું કરી, ફોન કરીને બોલાવીમહેશની છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી નાંખી હતી.

(1:08 am IST)