Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

ગૌમાતામાં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગને ડામવા કચ્છી માડુઓએ કમર કસી

ભુજ તાલુકાના સુખપર અને મદનપુરના ગ્રામજનોએ પશુઓને લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી)થી બચાવવા અભિયાન પ્રારંભ કર્યું : ગાયોની કરી દરકાર સરકારને આપ્યો સાથ:જોડીયા ગામોએ ગામમાં ફરતા તેમજ અસરગ્રસ્ત ૨૦૦ ગૌ સંવર્ધનને ગૌરક્ષણ સંસ્થામાં સારવાર માટે દાખલ કર્યા

ભુજ :સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આ માત્ર સરકારનું સૂત્ર જ નથી પણ સરકારની જનભાગીદારીમાં અતૂટ વિશ્વાસ અને લાગણીની વાત છે. દેશમાં વાત વિકાસની હોય કે વાત વિપદાની જ્યારે જ્યારે જરૂર પડી છે સરકાર અને સમાજે સહયોગથી એક આગવું ઉદાહરણ વિશ્વને પૂરું પાડ્યું છે. હાલ ગૌ સંવર્ધન પશુધનમાં પ્રવર્તી રહેલા લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) ની સામે પશુપાલકો અને સરકારની સાથે જનચેતના પણ જોડાઈ છે.

ગુજરાત રાજ્યની અને એમાં પણ કચ્છ જિલ્લાની તો લમ્પી ચર્મ રોગ વાયરસમાં કચ્છ જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે કારણ કે અહીં ૨૪ લાખ ઉપરાંત  પશુધન છે તેમાં પણ ૫.૭૫ લાખ ગૌ સંવર્ધન પશુધન છે ત્યારે આ પશુ મહારોગની આપદામાં ધાર્મિક ,સામાજિક, આર્થિક સંસ્થાઓ પણ પોતાનો બનતો સહયોગ કરી રહી છે અને આવું જ એક માનવતા અને ગૌ માતાની દરકારનું કામ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુખ પર અને મદનપુર ગામે ગ્રામ પંચાયતના સહયોગથી ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના ગામમાં પ્રભુ પર આશા રાખતા લોકોએ સૌનો સાથ સૌનો પ્રયાસને સાર્થક કર્યું છે.

વીસ હજારથી વધુ વસ્તી ધરાવતા જોડીયાં ગામ સુખપર અને મદનપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ અને ભુજ મંદિરના શ્રી નરનારાયણદેવના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણા અને બંને ગ્રામ પંચાયતો તથા ગામની દરેક સંસ્થાઓ, સંગઠનો સહિતના સમગ્ર ગ્રામજનોના સહયોગથી ગામમાં રખડતા ગૌવંશ પકડવાનું અને સમગ્ર ગામની શેરીએ શેરીની સફાઇનું મહા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૨૦૦થી વધુ ગૌવંશને પકડીને ટ્રોલી અને અન્ય સાધનો દ્વારા ગામની ગૌરક્ષણ સંસ્થામાં મોકલી અપાયા છે.

ગૌ માતાને વિશેષ કાળજી અને સારવાર મળે તે માટે ગ્રામજનોએ સંતોના માર્ગદર્શન અને ગ્રામ પંચાયતના સહયોગથી ગૌમાતાઓને સાચે જ પોતાની માનીને એક અનુકરણીય અને પ્રેરણાદાઈ પ્રશંસનીય  પગલુંભર્યું છે. હવે આ ગ્રામજનો ૧૪ ઓગષ્ટે સંતોની આગેવાનીમાં સમગ્ર ગામના ભાઇઓ બહેનો અને યુવાનો રીતસર હાથમાં સાવરણા, ગમેલાં અને પાવડા લઈને સફાઇ માટે નીકળી પડશે. સૌને પ્રેરણાદાઈ અને ઉદાહરણરૂપ તેમની આ કામગીરી કાબીલેદાર અને અનુસરવા લાયક છે ત્યારે અચૂક કહેવું પડે કે જો જાગે જનતા તો રોગ પણ મુઠ્ઠી વાળી ભાગે

જિલ્લા વહીવટી તંત્ર અને સરકારના સહયોગથી ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી ગામના યુવાઓ અને લોકો કરી રહેલું આ પુણ્ય  બિરદાવાલાયક છે. ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીના ગામમાં કરુણાનું આ ઝરણું અન્યને પણ પ્રેરણા આપશે એમ ભુજ મંદિરના શાસ્ત્રી સ્વામીશ્રી સૌનકજી એ આ કામને બિરદાવતા જણાવ્યું હતું. ગ્રામજનો સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ ગામના પ્રતિનિધિઓ સાથે સંકલન કરી ૧૪ મી ઓગસ્ટે ૩૦૦૦ જેટલા લોકો સફાઈ ઝુંબેશમાં જોડાઈને અન્યને પણ ઉદાહરણરૂપ કામગીરી કરશે.

(12:55 am IST)