Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જેમને જરૂર છે તેમણે મદદ માટે હાથ લાંબો ન કરવો પડે તે રીતે, તેવા પરિવારોને શોધી તેમને રાશન કીટો આપવાનો સેવા યજ્ઞ સતત ચાલુ

અમરેલીમાં ડો. ભરત કાનાબાર અને પી.પી.સોજીત્રાની સેવા અવિરત : ૧૫ દિવસમાં ૫૦૦ પરિવારોને અનુકંપા ટ્રસ્ટ દ્વારા મદદ પહોંચાડવામાં આવી

અમરેલી તા. ૧૪ : કોરોના મહામારીના કારણે છેલ્લા સવા વર્ષથી સર્જાયેલ પરિસ્થિતિમાં અનેક લોકોએ પોતાના ધંધા–રોજગાર ગુમાવ્યાં છે. કોઈની પાસે મદદ માટે હાથ લાંબો કરવામાં શરમ અનુભવતા અનેક મઘ્યમવર્ગીય અને નિમ્ન મઘ્યમવર્ગીય પરિવારો 'ન રહેવાય ન સહેવાય' જેવી પરિસ્થિતિમાં મુકાય ગયા છે. કોરોનાના પ્રથમ વેવની જેમજ ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રા દ્ઘારા આવા પરિવારોને શોધી, સામે ચાલીને તેમને બોલાવી, તેમને રાશન કીટોનું વિતરણ છેલ્લા ૧પ દિવસથી સતત કરવામાં આવી રહયું છે.

વાવાઝોડાના ૧ અઠવાડીયા સુધી રાજુલા–જાફરાબાદ–ધારી તથા અમરેલી શહેરના અસરગ્રસ્ત લોકોમાં ૭પ૦ જેટલી રાહત સામગ્રીની કીટોનું વિતરણ કર્યા બાદ હવે તેમની ટીમ, અનુકંપા ટ્રસ્ટના નેજા નીચે અમરેલી શહેરમાં અલગ અલગ વર્ગોમાં રાશન કીટોનું વિતરણ કરી રહી છે.

૪ વ્યકિતના પરિવારને ૧પ દિવસ ચાલે તેટલા રાશનની આવી કીટોનું વિતરણ, ગુરૂવારે તા. ૧૦ જુનના રોજ સમર્થ વ્યાયામ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી એમ.કે. સાવલીયા અને જાણીતા શિક્ષણવિદ્ અને પર્યાવરણપ્રેમી બીપીનભાઈ જોષીના હસ્તે કરવામાં આવેલ.

આ વિતરણ કાર્યમાં અનુકંપા ફાઉન્ડેશનની ટીમના ચેતનભાઈ રાવળ, નયનભાઈ બેદી, કમલેશભાઈ ગરાણીયા, મધુભાઈ આજગીયા, વિપુલભાઈ ભટૃી, હરેશભાઈ સાદરાણી, યોગેશભાઈ કોટેચા, જયેશભાઈ ટાંક, દીપકભાઈ વઘાસીયા, રાજુભાઈ કામદાર, ભાર્ગવભાઈ કારીયા, શનિભાઈ ધાનાણી, ફોટોગ્રાફર ડી.જી. મહેતા, તુલસીભાઈ મકવાણા, લાલાભાઈ જોષી, વિપુલભાઈ બોસમીયા, માસ્તર (મિશ્રાજી) સહિતના તમામ કાર્યકરો જોડાયા હતા.

(1:12 pm IST)