Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

સિંહોના સંરક્ષણ મામલે સરકાર હવે ગંભીર બનીઃ ગીરમાં ખાલી પડેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિ. કન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટની ખાલી જગ્‍યાઓ ભરી દીધી

ગીર સોમનાથઃ ગીર અભ્યારણ્ય અને તેની આસપાસ સિંહોની સ્થિતિ વિશે માધ્યમોમાં પ્રકાશિત થતા અહેવાલો બાદ સરકાર સફાળી જાગી છે અને ગીર અભ્યારણ્યમાં ખાલી પડેલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF)ની મહત્વની જગ્યાઓમાં પર તાત્કાલિક અસરથી નિમણૂંકો કરી દીધી છે. ગીર અને સિંહોના સરંક્ષણ માટે આ એક સારું પગલુ ગણાશે. કેમ કે, ગીરમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂંકો કરવા માટે ઘણા લાંબા સમયથી જુનાગઢ વન્યપ્રાણી વર્તુળ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે ગીર અભ્યારણ્યમાં ચાર ખાલી જગ્યાઓ પર નવા ચાર રેન્જ ફોરેસ્ટ ઓફિસરોની નિમણૂંક કરી છે. જે રેન્જમાં નવી નિમણૂંક કરવામાં આવી છે તેમાં ડેડકડી રેન્જ (ગીર પશ્ચિમ), દેવળીયા રેન્જ (ગીર પશ્ચિમ), હડાળા રેન્જ (ગીર, પૂર્વ) અને સાસણ રેન્જ (ગીર, પશ્ચિમ)નો સમાવેશ થાય છે. આ તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસરોને સૂચના આપવામાં આવી છે કે, તેઓએ હાલની જગ્યાએથી છૂટા થઇ તાત્કાલિક નવી બદલી વાળી જગ્યાએ ચાર્જ સંભાળી લેવો.

સિવાય, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ(ACF)ની ગીરમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ નવી નિમણૂંકો કરવામાં આવી છે. જેમાં પોરંબદર ખાતે ફરજ બજાવતા એ.સી.એફ ડી.જે પંડ્યાને બદલીને વિસાવદર (ગીર, પશ્ચિમ)ખાતે નિમણૂંક કરવામાં આવી છે. મરીન નેશનલ પાર્ક (જામનગર)નાં એ.સી.એફ એચ.જે. ઠક્કરને ધારી (ગીર, પૂર્વ)ના એ.સી.એફ તરીકે મૂકવામાં આવ્યા છે. એ જ રીતે, ખંભાળિયા ખાતે એ.સી.એફ તરીકે ફરજ બજાવતા નિકુંજસિંહ પરમારને ઉના(ગીર, પૂર્વ)ના એ.સી.એફ તરીકે મૂકવામાં આવ્યા છે.

ગીર અભ્યારણ્યમાં ચાર નવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરો અને ત્રણ સહાયક વન સરંક્ષકોની ખાલી જગ્યા ભરાતા સ્થાનિક વન વિભાગની કામગિરી સારી રીતે આગળ વધી શકશે.

થોડા દિવસો પહેલા, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સીસ જી.કે. સિન્હા, વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા અન્ય ઉચ્ચ અધિકારી ગીર દોડી ગયા હતા અને વણસતી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સમયે વન અધિકારીઓએ સ્થાનિક લોકો, સ્વૈચ્છિક સંસ્થાના લોકો, વન્યપ્રેમી લોકોને સાંભળ્યા હતા અને સિંહોના સરંક્ષણ મામલે સરકાર ગંભીર છે એમ જણાવ્યુ હતું. ગીર અભ્યારણ્યની આસપાસ રેવન્યુ વિસ્તારમાં ગેરકાયદે લાયન શોના કિસ્સાઓથી વન્યપ્રેમીઓ ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને, બાબરિયા રેન્જમાંથી પકડાયેલા આરોપીઓ પાસેથી જે વીડિયો ક્લીપ્સ મળી તેનીથી લોકો સ્તબ્ધ થઇ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરમાં સિંહોનાં વધી રહેલા અકુદરતી મૃત્યુને લઇને તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને થોડા દિવસો પહેલા જ સુઓમોટો પિટીશન દાખલ કરી છે. છેલ્લા બે વર્ષમાં ગીરમાં 184 સિંહો મૃત્યુ પામ્યા છે. 184 સિંહોના મૃત્યુમાંથી 32સિંહોના મૃત્યુ અકુદરતી રીતે થયા છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે સિંહોના અકુદરતી મૃત્યુનો સ્વીકાર કર્યો છે. 2015માં થયેલી સિંહોની ગણતરી મુજબ, ગીરમાં કુલ 523 સિંહો છે.

(7:49 pm IST)