Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

જામનગર નારાયણ અને બ્રહ્મસમાજ ખાતે વેકિસનેશન કેમ્પ યોજાયા

જામનગર : હાલમાં વિવિધ વિસ્તારોમાં સેવા સંસ્થાઓ દ્વારા કેમ્પ યોજી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અન્ન નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની જનતાને ડર્યા વગર વેકિસન લઈ દેશને સુરક્ષિત કરવામાં સહયોગ આપવા અપીલ કરી હતી જેને જામનગરમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. અનેક સંસ્થાઓ દ્વારા વધુમાં વધુ લોકો રસી લે તે માટે સતત કેમ્પ યોજાઇ રહ્યા છે. શહેરના ગુલાબનગર વિસ્તારના નારાયણનગર અને કાશીવિશ્વનાથ રોડ પરના બ્રહ્મ સમાજની વાડી ખાતે ભાગ્યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી રસીકરણ કેમ્પ યોજાયા હતા.આ કેમ્પમાં ૨૫૦થી વધુ લોકોએ રસી લઇ જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપ્યો હતો. આ તકે ૫૯ વર્ષીય અશોકભાઈ ભટ્ટે લોકોને આગ્રહ કરતા કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ભયંકર રીતે પ્રસરી રહી છે ત્યારે આપણને સુરક્ષા મળે, આપણા સમાજને, કુટુંબને શાંતિ મળે તે માટે સરકારી માન્યતા પ્રાપ્ત જે વેકિસન હાલમાં અપાઈ રહી છે તે દરેકએ લેવી જરૂરી છે. આ માટે લોકોએ કેમ્પ સિવાય નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોવિડ વેકિસનેશન સેન્ટર પરથી પણ રસી તાત્કાલિક મેળવવી જોઈએ. તો ૭૦ વર્ષીય મુકતાબેન ઝાલાએ જણાવ્યું હતું કે, મેં વેકિસન લીધી છે અને મને તેનાથી કોઈ તકલીફ નથી. આપણે કોરોનાથી સુરક્ષિત રહેવું હોય તો વેકિસન લેવી જરૂરી છે અને એટલે જ દરેકએ ખાસ વેકિસન લેવી જોઈએ. આ વેકિસનેશન કેમ્પ દ્વારા વિસ્તારના અનેક લોકોએ રસીકરણનો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ તકે ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રી ધર્મરાજસિંહ જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, વાણંદ જ્ઞાતિ યુવક મંડળના અગ્રણીઓ વેલજીભાઇ નકુમ, ખોડીદાસભાઇ શીશાગીયા, ભરતભાઈ ઝાલા, રાજેશભાઈ લખતરિયા, યોગેશભાઈ તથા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અતુલભાઈ મહેતા, ઉપપ્રમુખશ્રી જનાર્દનભાઇ રાવલ, મંત્રી મહેશભાઈ રાવલ તથા અગ્રણી કમલભાઈ પંડ્યા, વિશાલભાઈ મહેતા તથા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)