Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મોરબીમાં સિવિલમાં છ કલાકમાં મળી જશે આરટીપીસીઆર સેમ્પલનો રિપોર્ટ : કલેક્ટર

મોરબી મુલાકાત વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોરબીમાં આરટીપીસીઆર લેબોરેટરી શરૂ કરવા અંગે વહિવટી તંત્રને સુચના આપ્યા બાદ પ્રભારી સચિવ મનીષા ચંદ્રા તેમજ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા લેબોરેટરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ કરવામાં આવતાં આજે સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી સચિવ મનીષા ચંદ્રાના હસ્તે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લેબોરેટરીનું રિબિન કાપીને ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ગત ૮ મી એપ્રિલના દિવસે મોરબી મુલાકાતે આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લામાં આરટીપીસીઆર લેબોરેટરી શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો હતો અને તાત્કાલીક લેબોરેટરી શરૂ કરવા અંગે સંબંધિત અધિકારીઓને સુચના અપાઇ હતી. જે અંતર્ગત લેબોરેટરી શરૂ કરવા ટોચ અગ્રતા આપી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કામગીરીને તાત્કાલીક પૂર્ણ કરવામાં આવતાં લેબોરેટરી શરૂ કરવાની તમામ ઔપચારિક વિધિ પૂર્ણ કરવામાં આવી છે.
હાલે આ લેબોરેટરીમાં મોરબી સિવિલ હોસ્પિટલના ૫૦ સેમ્પલથી શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ સમયાંતરે સેમ્પલીંગમાં વધારો કરવામાં આવશે. હાલે મોરબી સિવિલ હોસ્પિટલના સેમ્પલને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યાર બાદ અન્ય અન્ય સ્થાનો પરથી લેવામાં આવતાં સેમ્પલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ કાર્યવાહીમાં ૬ કલાક જેટલો સમય લાગે છે જેથી હવે મોરબીવાસીઓ માટે આરટીપીસીઆર રિપોર્ટ ૨૪ કલાકમાં મેળવવો શક્ય બની રહેશે.
આમ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની મોરબી જિલ્લાની મુલાકાતનું પરિણામ અને તેની ફળશ્રુતિ સમાન લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે.આ લેબોરેટરી ઉદ્દઘાટન વેળાએ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. સરડવા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર ડી.જે. જાડેજા,  નાયબ મામલતદાર સર્વે પી.આર. ગંભીર, સંજયભાઇ બારિયા, શરદભાઇ ઠુમ્મર, જી.એસ. જાડેજા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:25 pm IST)