Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અંદરો-અંદરના ઝઘડા અટકે તો બધુ જ અનિષ્ટ બંધ થાયઃ પૂ. મોરારીબાપુ

વાંકાનેર તા. ૧૪ :.. તાલુકાના પંચાસીયા ખાતે સહયોગ હાઇસ્કુલના મેદાનમાં યોજાયેલા સદભાવના સંમેલનમાં એકતાનો સંદેશ પૂ. મોરારીબાપુએ પાઠવ્યો હતો.

રપ જેટલા મહાનુભાવોનું શિલ્ડ એનાયત  કરીને સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સુફી સંત ખુરશીદ હૈદર પીરઝાદા, રામચંદ્ર પંચોલી તેમજ અનેક ધાર્મિક તથા સંતો-મહંતો સાથે કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, માજી સાંસદ રમાબેન માવાણી, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા, મોરબી વિભાગના મોહનભાઇ પટેલ સાથે પટેલ સમાજના બહોળી સંખ્યામાં આગેવાનોની હાજરીમાં સંમેલનના આયોજક હાજીભાઇએ જણાવેલ કે, મોરબી જીલ્લાનું આ ત્રીજુ સંમેલન યોજવામાં આવેલ છે જેમાં સુફી સંતો અને પૂ. મોરારીબાપુ, દિપકભાઇ અંતાણી વગેરેને હું આવકારીને આભાર વ્યકત કરૂ છું.

આ પ્રસંગે પૂ. મોરારીબાપુએ રાજકારણીઓને અને લોકોને સંદેશો પાઠવતા જણાવેલ કે ધર્મ અને રાજકારણના નામે લોકોના લોહી રેડાય છે. તે માટે સમભાવ જરૂરી છે. હિન્દુના ગુરૂઓ, જે ગુરૂમાં હું નથી, તે ગુરૂઓ ભારતમાં સદભાવના પેદા કરે તેવી હું અપીલ કરૂ છું. ઇમામ હુસેનને શહીદ કરનારા કોઇ હિન્દુ હતા નહીં અને મહાત્મા ગાંધીની હત્યા કરનાર કોઇ મુસ્લિમ નહોતાં. સર્વધર્મ સમભાવ, ઇમાનદારી અને એકતા જાળવી, અંદરો અંદરના ઝઘડાઓ બંધ થાય તો બધુ જ અનિષ્ટ બંધ થાય અને તો જ ઇમાનદારી કહેવાય, મેં કોંગ્રેસના રાજકારણીઓને પુછેલ કે પંજો કયા હાથનો છે ? તો તેઓ જવાબ આપી ન શકેલ. જયારે મેં ભાજપવાળાને પુછેલ કે કમળની પાંદડીઓ કેટલી હોય ? તો તેનો જવાબ પણ રાજકારણીઓ આપી નહોતા શકયા.

આ પ્રસંગે મનુભાઇ પંચોલીના જન્મ સ્થળ પંચાસીયા ખાતે તેની પ્રતિમાનું અનાવરણ કરાયુ હતું. સ્વ. મનુભાઇ પંચોલીના સુપુત્ર રામચંદ્ર પંચોલીએ જણાવેલ કે ર૦૦ર ના રાયોટસ બાદ સદભાવના સંમેલનો યોજાયા છે. તેને હું બીરદાવુ છું તેઓએ વધુમાં જણાવેલ કે રાજકીય નેતાઓએ જેમ તેમ નિવેદનો આપવા ન જોઇએ કે જેથી લોકો સમુદાયો વચ્ચે ઉશ્કેરાટ થાય. સુફી સંત ખુરશીદ પીરઝાદાએ દેશમાંથી આતંકવાદ, કોમવાદ અને જ્ઞાતિવાદને છોડીને, મોરારીબાપુના સદભાવના તથા એકતાના સંદેશો ને અમલમાં મુકવો જોઇએ.

આ કાર્યક્રમ બાદ સ્ટેજ ઉપર મુસ્લિમ સમાજના અગ્રણી મહંમદભાઇ રાઠોડ, તથા બ્રહ્મ સમાજના અગ્રણી તથા શારદા સ્કુલના સંચાલક પરેશભાઇ મઢવી તથા ગોપાલભાઇ રાજગોર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરેલ. જેના દ્વારા સર્વધર્મ સમભાવનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ હતું.

સર્વધર્મ સમભાવ સંમેલન યોજાયાબાદ પૂજયશ્રી મોરારીબાપુ હરિયાણીને મુસ્લિમ મહમંદભાઇ રાઠોડ અને બ્રહ્મસમાજના અગ્રણી પરેશભાઇ મઢવીએ રીકવેસ્ટ કરતા જણાવેલ કે વાંકાનેર કોમી એકતાના પ્રતિક હઝરતશાહ બાવા (મલંગ) ની દરગાહ શરીફે હજુ આજેજ ગરીબ નવાઝ અજમેરથી મહમંદભાઇ રાઠોડ ચાદર શરીફ લઇ આવેલ હોય જે ચાદર શરીફ મોરારીબાપુના આશીર્વાદથી શાહબાવાને ચાદર ચડાવવાની હોય આપ આ ચાદર ચડવવા માટે દરગાહ શરીફે પધારો જે વાતનો બાપુએ સ્વીકાર કરી પોતે પોતાના કાફલા સાથે શાહબાવાની દરગાહે ચાદર ચડાવી ધન્ય થયા હતા આ પ્રસંગે શાહબાવા ટ્રસ્ટના સભ્ય મહમંદભાઇ રાઠોડ તથા પરેશભાઇ મઢવી (શારદા સ્કુલના સંચાલક) અને ગોપાલભાઇ રાજગોર બ્રાહ્મણ તથા ગફારભાઇ મંત્રી તથા અન્ય આગેવાનોએ મોરારીબાપુનું સાલ ઓઢાડી સન્માન કરેલ ત્યારે મોરારીબાપુ ખુશીમાં આવીને પરેશભાઇ મઢવી અને મહમંદભાઇ રાઠોડને પોતાની કાળી કામળી આપીને સન્માનિત કરેલ જે સર્વેધર્મ સમભાવનું શ્રેષ્ઠ ઉદારણ પરૃં પાડેલ છ.ે

 

(11:28 am IST)