Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

પડવલામાં દરબારના બે જૂથ વચ્ચે અથડામણઃ ફાયરીંગ-સશસ્ત્ર હુમલોઃ ૪ને ઇજાઃ ૬ સકંજામાં

ગાયત્રીબા જાડેજા કાર લઇને નીકળ્યા ત્યારે કોૈટુંબીક ભત્રીજા જયદિપસિંહ જાડેજા સામે કાર લઇને આવતાં સાઇડમાં કાર લેવા પ્રશ્ને બંને વચ્ચે થયેલી ચડભડ બાદમાં અથડામણમાં પરિણમીઃ વર્ષોથી જમીન બાબતે ચાલતું મનદુઃખ વધુ વકર્યુ : ગાયત્રીબા હરદેવસિંહ જાડેજાની ફરિયાદ પરથી જયદિપસિંહ જાડેજા સહિત ૭ વિરૂધ્ધ અને જયદિપસિંહ અજીતસિંહ જાડેજાની ફરિયાદ પરથી હરદેવસિંહ, તેના પત્નિ ગાયત્રીબા, અગાઉ મર્ડરમાં સંડોવાઇ ચુકેલા દામજી પટેલ સહિત ૭ સામે રાયોટ-હત્યાની કોશિષ-ફાયરીંગનો ગુનો નોંધતી શાપર પોલીસ

અથડામણમાં ઘાયલ પૈકીના જયદિપસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ અને ભગીરથસિંહ ગોકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ જોઇ શકાય છે. સામા પક્ષના હરદેવસિંહને સ્ટર્લિંગમાં દાખલ કરાયા છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪: કોટડા સાંગાણી તાબેના પડવલાની મેઇન બજારમાં રાત્રીના દસકે વાગ્યે દરબાર પરિવારોના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતાં દેકારો બોલી ગયો હતો. એક બીજા પર તલવાર, ધોકા, પાઇપથી હુમલો કરવા ઉપરાંત સામ-સામા ફાયરીંગ પણ થતાં બંને પક્ષના મળી ચારને ઇજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા છે. શાપર પોલીસે સામ-સામી ફરિયાદો દાખલ કરી બંને પક્ષના છને સકંજામાં લીધા છે. હાલ શાપર રહેતાં મુળ પડવલાના હરદેવસિંહ જાડેજાને પડવલા રહેતાં તેના કુટુંબી સગા જયદિપસિંહ અજીતસિંહ જાડેજા સાથે વર્ષોથી જમીનનું મનદુઃખ ચાલે છે. ગત સાંજે હરદેવસિંહના ધર્મપત્નિ ગાયત્રીબા કાર લઇને નીકળ્યા ત્યારે જયદિપસિંહ તેની કાર લઇને સામે આવતાં બંને વચ્ચે ચડભડ થયા બાદ હરદેવસિંહ સહિતના પડવલા પહોંચ્યા હતાં અને સામ-સામા હુમલા થયા હતાં.

ઘટનાની જાણ થતાં શાપરના પી.એસ.આઇ. વાય. બી. રાણા, દિલીપભાઇ કલોતરા, કિરીટસિંહ, ભૂપેન્દ્રસિંહ સહિતનો કાફલો દોડી ગયો હતો. એક બીજા પર તલવાર, ધોકા, પાઇપથી થયેલા હુમલા અને ફાયરીંગ પણ થતાં ઇજા પામનાર હરદેવસિંહ દિલુભા જાડેજા (ઉ.૪૮-રહે. શાપર ભૂમિ પાર્ક)ને રાજકોટ સિવિલમાં અને ત્યાંથી સ્ટર્લિંગમાં ખસેડાયા હતાં. જયારે સામા પક્ષે ઇજાગ્રસ્તો જયદિપસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.૩૨), તેમના ભાઇ યોગેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.૩૪) અને કાકાના દિકરા ભગીરથસિંહ સંપતસિંહ જાડેજા (ઉ.૨૯)ને ઇજા થતાં રાજકોટ ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

શાપર પોલીસે રાજકોટ આવી જયદિપસિંહ જાડેજાની ફરિયાદ પરથી શાપરના હરદેવસિંહ દિલુભા જાડેજા, તેમના પત્નિ ગાયત્રીબા, દામજી પટેલ, હરદેવસિંહના ડ્રાઇવર સતીષ, ગાયત્રીબાના ડ્રાઇવર ગોપાલ અને હરદેવસિંહના જેસીબીના ડ્રાઇવર તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૦૭, ૫૦૪, આર્મ્સ એકટ ૨૫ (૧) બી એ, ૨૯ તથા ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

સામા પક્ષે ગાયત્રીબા હરદેવસિંહ જાડેજા (ઉ.૪૨-રહે. શાપર)ની ફરિયાદ પરથી જયદિપસિંહ અજીતસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, ભગીરથસિંહ સંપતસિંહ જાડેજા, વિપુલસિંહ સંપતસિંહ જાડેજા, ગુણુભા ભીખુભા જાડેજા, અરવિંદસિંહ ગુણુભા જાડેજા તથા તપાસમાં ખુલે તેની સામે પણ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૩૦૭, ૫૦૪, આર્મ્સ એકટ ૨૫ (૧) બી એ, ૨૯ તથા ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

જયદિપસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મંગળવારે સાંજે સાતેક વાગ્યે મારી સ્કોર્પિયો હંકારી પડવલા ગામના પહેલા પુલીયા પાસે પહોંચ્યો ત્યારે સામેથી એક ફોરવ્હીલ આવતી હોઇ તે ફુલ લાઇટથી સામે આવતાં મેં કાર ઉભી રાખી દીધી હતી. સામેની એસ યુવીકારમાં કોૈટુંબીક કાકી ગાયત્રીબા જાડેજા ઉતરીને સામે આવ્યા હતાં અને મારી સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. મેં તેમને ખોટી માથાકુટ કરવાની ના પાડતાં વધુ ઉશ્કેરાઇ ગયેલ. મેં તેમને કહેલ કે સભ્યતા રાખો, ઝઘડો કરવો હોય તો તમારા ઘરવાળાને મોકલજો. તેમ કહી હું ગાડી ઇલ જતો રહ્યો હતો અને મારા પિતાને વાત કરી હતી. એ પછી હું ગામમાં દૂકાને ફાકી ખાવા ગયો હતો. ત્યારે મારા મોટા ભાઇ તથા બીજા સંબંધીઓ પણ પાન-માવો ખાવા ઉભા હતાં.

રાત્રે દસેક વાગ્યે અમે બધા દૂકાને હતાં ત્યારે શાપરથી બે-ચાર ગાડીઆો આવી હતી. જેમાં ગાયત્રીબા, હરદેવસિંહ તેનો ડ્રાઇવર ગોપાલ, સતીષ, હરદેવસિંહનો ભાગીદાર દામજી પટેલ સહિતના હતાં. મેઇન બજારમાં તેણે એસયુવી કાર આડી રાખી દીધી હતી. હાથમાં તલવારો ધોકા પણ હતાં. ગાયત્રીબાના હાથમાં મોટો છરો હતો. દામજીના હાથમાં બંદુક જેવુ હથીયાર હતું. તેણે હવામાં ફાયરીંગ કર્યુ હતું. એ કારણે ભાગમભાગ થઇ ગઇ હતી. ત્યારે હરદેવભાઇ તલવાર લઇ મારી સામે દોડેલા અને મોટેથી બોલેલા કે આને ભડાકે દે. બધાની મારીને કાપી નાંખો....તેવા દેકારા કર્યા હતાં. હુમલો થતાં મારા પિતા તેમજ બીજા લોકો દોડી આવ્યા હતાં. હરદેવસિંહે તલવારથી ભગીરથભાઇને માથામાં, યોગેન્દ્રસિંહને હાથમાં ઇજા કરી હતી. દામજીએ મારા પર બંદૂકથી ભડકાો કરતાં હું નીચે બેસી જતાં બચી ગયો હતો. બાદમાં અમે બધા જીવ બચાવી ભાગી ગયા હતાં. ગામલોકો મોટી સંખ્યામાં ભેગા થઇ જતાં હરદેવસિંહ સહિતના ભાગી ગયા હતાં.

સામા પક્ષે ગાયત્રીબા જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે સાંજે સાતેક વાગ્યે હું પડવલાની ઉગમણી બાજુએ આવેલી અમરાી વાડીએ દૂધ લેવા ડ્રાઇવર ગોપાલભાઇ સાથે એસયુવી કાર જીજે૩કેસી-૮૬૦૦માં બેસી શાપરથી આવી હતી ત્યારે સામે એક કાર ફૂલ લાઇટથી આવી હતી. અમારે વાડીએ જવામાં મોડુ થતું હોઇ અમારી ગાડીમાંથી ઉતરી સામેની ગાડી પાસે જતાં કોૈટુંબીક ભત્રીજા જયદિપસિંહ તેમાં હતાં. મેં કહેલ કે ભાઇ વચ્ચે પુલીયા પર કેમ ગાડી રાખી દીધી છે, મારે વાડીએ જવામાં મોડુ થાય છે. તો તેણે મા-બહેન સમી ગાળો દીધી હતો. હું એકલી હોઇ વધુ ઝઘડો થાય તેમ લાગતાં હું જયદિપસિંહને સમજાવવા લાગી હતી. પણ તેણે તું તારા ઘરવાળાને લઇને આવજે જોઇ લેશું તેમ કહેતાં હું નકળી ગઇ હતી. બાદમાં ઘરે જઇ પતિને વાત કરી હતી.

જયદિપસિંહ ઘણા સમયથી હેરાન કરતો હોઇ જેથી મારા પતિ, તેના ડ્રાઇવર સહિતના સાથે પડવલા આવ્યા હતાં. અમારા જેસીબીનો ડ્રાઇવર ઇમરાન, સતીષ, ભાગીદાર દામજી બટુકભાઇ હીરપરા સહિતના પણ અમારી સાથે આવ્યા હતાં. અમે તેને સમજાવવા આવ્યા હોઇ જયદિપસિંહ સહિતનાએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. યોગેન્દ્રસિંહ અજીતસિંહે બાર બોરની બંદૂકથી ભડાકો કરતાં મારા પતિને છાતી પડખામાં છરા વાગ્ી ગયા હતાં.

શાપર પોલીસે ઉપરોકત બંને ફરિયાદ પરથી તપાસ શરૂ કરી હાલ છએક શખ્સોને પુછતાછ માટે બેસાડી દીધા છે. પોલીસના કહેવા મુજબ બંને કુટુંબીઓ વચ્ચે વર્ષોથી જમીન મામલે મનદુઃખ ચાલે છે. જેમાં ગત સાંજે કોૈટુંબીક કાકી-ભત્રીજા કારમાં સામ સામે આવી ગયા બાદ ચડભડ થયા પછી એક બીજા પર હુમલો થયો હતો. ફાયરીંગ કરનાર હરદેવસિંહનો ભાગીદાર દામજી પટેલ અગાઉ પણ એક મર્ડરમાં સંડોવાઇ ચુકયાનું પોલીસે કહ્યું હતું.

(1:40 pm IST)