Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બજેટ સેમિનારમાં સરકારના ભ્રષ્ટાચાર નાબુદીના પગલાને આવકાર

પોરબંદર તા.૧૪ : પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા પ્રોફેશનલ કમિટી લોહાણા મહાપરિષદ દ્વારા યોજવામાં આવેલ પ્રપોઝડ બજેટ ૨૦૨૦-૨૧ અન્વયે માહિતી આપતા એક સેમીનારમાં પ્રમુખ વકતા પદેથી અમદાવાદના સીએ ભરતભાઇ પોપટે જણાવ્યુ કે, કોઇપણ દેશની સરકારએ રાષ્ટ્રની સુચારૂ રીતે વહીવટ ચાલે એજ મહત્વની કામગીરી બજાવવી જોઇએ હાલે રેલ્વે એલઆઇસી અને સરકારશ્રીના અન્ય વિભાગોમાં ચાલી રહેલા વ્યાપારીકરણને ખાનગીકરણ તરફનો મોડ આપવાનુ સરકારશ્રીનું પગલુ સર્વદા યોગ્ય અને આવકારદાયક ગણાવેલ. ભ્રષ્ટાચારને ડામવાના સરકારશ્રીના ઓનલાઇન વ્યવહારો તરફના પગલાને પણ તેમણે પ્રશંસનીય ગણાવ્યુ છે.

તેમણે સરકારશ્રીનું બજેટએ હંમેશા તમામને સંતોષ આપી ન શકે તે સનાતન સત્ય છે પરંતુ જે દરખાસ્ત લોકસભાના મેજપર મુકવામાં આવેલ છે તેના લેખા જોખા કરવાથી સમુદ્ર મંથનની જેમ તેમાંથી કેટલી માત્રામાં અમૃત નીકળે છે. તેની જાણકારી તો અવશ્ય મેળવી શકાય ત્યારબાદ પરંપરા મુજબ આમંત્રીત મહેમાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનુ સન્માન કરવામાં આવ્યુ.

અતિથિવિશેષ પદેથી અમદાવાદના ખ્યાતનામ સીએ અને પ્રોફેશનલ કમીટી લોહાણા મહાપરિષદના ચેરમેન શિલ્પાંગભાઇ કારીયાએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે પ્રપોઝડ બજેટના લેખા જોખા તો ભરતભાઇ પોપટના શબ્દોમાં સાંભળવા ગમશે પરંતુ તેમણે પોતાના વકતવ્યમાં વર્ષોના બજેટના વિશ્લેષણ દ્વારા આવક તથા ખર્ચના જે શીલશીલાબધ્ધ આંકડાઓ આપ્યા તેનાથી સરકારશ્રીની અનેક વિધ કામગીરી વિશે વિગતે જાણકારી મળી. કાર્યક્રમના પ્રોજેકટ ચેરમેન અને પોરબંદરના સીએ દિવ્યેશભાઇ સોઢાએ પોતાની લાક્ષણીક શૈલીમાં સરકારની આવક સામે હાથ ધરવામાં આવતી કામગીરી માટે થતા ખર્ચની યથોચિત માહિતી આપી તેમણે પોતાનુ સંપુર્ણ પ્રવચન દાખલાઓ ટાંકી અને સ્વરચીત કાવ્યની પંકતીઓ દ્વારા ચમકદાર બનાવ્યુ. પ્રશ્નોતરી સમયમાં પદુભાઇ રાયચુરા, ભરતભાઇ માખેચા, નરેશભાઇ લાખાણી અને ઉપસ્થિત શ્રોતા દ્વારા કરવામાં આવેલ પ્રશ્નોના વિગતવાર માહિતી સાથે સંતોષકારક રીતે પ્રત્યુતર પ્રમુખ વકતા ભરતભાઇ પોપટએ આપ્યા. કાર્યક્રમનું સંચાલન કેતનભાઇ મોનાણી તથા જયેન્દ્રભાઇ લાખાણીએ કર્યુ હતુ.

(11:41 am IST)