Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ભાવનગરમાં વ્યાજખોરોએ પુત્રીના અપહરણની ધમકી આપતા પિતાનો આપઘાત

ખેડૂતવાસમાં રહેતા ભરત લક્ષ્મણભાઇ મેર, દેવા મેપાભાઇ મેર, લાખા મેપાભાઇ મેર, લખા કમાભાઇ મેર વિરૂધ્ધ ફરિયાદ

ભાવનગર તા. ૧૩ :.. ભાવનગરમાં વ્યાજખોરોએ પૈસા વસુલવા પુત્રીનું અપહરણ કરવાની ધમકી આપતાં પિતાએ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો. અંગે પુત્રીએ  ચાર શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

આ બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં ઘોઘા રોડ વિસ્તારમાં બાલયોગીનગર પ્લોટ નં. ૧પ માં રહેતાં લાખાભાઇ નાજાભાઇ રાઠોડ ઉ.વ.પપ એ તેનાં ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વ્હોરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતક લાખાભાઇની પુત્રી હરીસિધ્ધીબેન લાખાભાઇ રાઠોડ ઉ.રર એ શહેરનાં ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા ભરત લક્ષ્મણભાઇ મેર, દેવા મેપાભાઇ મેર, લાખા મેપાભાઇ મેર તથા લખા કમાભાઇ રાઠોડ નામનાં ચાર ભરવાડ શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ શખ્સે પાસેથી તેનાં પિતાએ વ્યાજે નાણા લીધા હતાં જે પૈકી રૂ. ૬ લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હતા અને જો તે વધુ પૈસા નહિ આપે તો ફરીયાદી હરીસિધ્ધીબેનનું અપહરણ કરી જશે તેવી ધમકી આપી હતી. આથી આ શખ્સોની ધમકીથી ડરી તેનાં પિતાએ આપઘાત કર્યો છે. આ અંગે બી. ડીવીઝન પોલીસે ચારેય વ્યાજખોર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઠળીયા ગામે ચોરી

ભાવનગર જીલ્લાનાં તળાજા તાલુકાનાં ઠળીયા ગામે રહેતાં જીલુભાઇ અમરૂભાઇ પગાનાં મકાનની સીમેન્ટની બારી તોડી રૂમમાં પ્રવેશી તસ્કરો કબાટમાંથી રોકડા રૂ. ૪૦ હજાર તેમજ સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ૧૧૪૦૦૦ નાં મુદમાલની ચોરી કરી નાસી છૂટયા હતાં. આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:08 pm IST)