Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

અજમેર માનતા ઉતારવા જઈ રહેલા જામનગરના પરિવારને કચ્છના લાકડીયા પાસે અકસ્માતઃએકનું મોતઃ ૩ ઘાયલ

કાર મોરબીના સંજયભાઈ આહીરની, મોરબીના કાર ચાલક મયુરસિંહ જાડેજા ઇજાગ્રસ્ત, જયારે જામનગરના હિતેન્દ્રસિંહ જાડેજાનું મોત, પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત, કચ્છ-રાજસ્થાન હાઇવે ઉપર ડમ્પર ચાલકે એકાએક યુ ટર્ન લેતાં કાર અથડાઈ

ભુજ,૧૩: જામનગરથી અજમેર માનતા ઉતારવા જઈ રહેલા ક્ષત્રિય પરિવારની કાર ને કચ્છ રાજસ્થાન હાઇવે ઉપર લાકડીયા ચિત્રોડ વચ્ચે અકસ્માત નડ્યો હતો. આ અંગે મૂળ મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા કારચાલક મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ કરી છે.

તેઓ તેમના મિત્ર અને જામનગર રહેતા નરેન્દ્રસિંહ મુળુભા જાડેજા, હિતેન્દ્રસિંહ દાનુભા જાડેજા તેમના પત્ની રિટાબા અને પુત્ર દુષ્યંતસિંહ સાથે મોરબીથી બપોરે કાર લઈને કચ્છ-રાજસ્થાન હાઇવે દ્વારા ૯/૯ ના અજમેર જવા નીકળ્યા હતા. ત્યારે રાત્રે ૧૦ વાગ્યે લાકડીયા અને ચિત્રોડ વચ્ચે આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે એકાએક યુ ટર્ન લેતાં તેમની કાર ડમ્પરમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં હિતેન્દ્રસિંહ દાનુભા જાડેજાનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયું હતું. જયારે તેમના પત્ની રિટાબા અને પુત્ર દુષ્યંતસિંહને ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં પોતે પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું ફરિયાદી મયુરસિંહ જાડેજાએ પોલીસને જણાવી  ડમ્પર ન. જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૧૮૪ના ચાલક વિરુદ્ઘ ગુનો દાખલ કરાવ્યો છે. અકસ્માતનો ભોગ બનનાર કાર ન. જીજે એફડી ૮૩૮૧ મોરબીના સંજયભાઈ આહીરની માલિકીની છે.

(11:47 am IST)