Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ભાવનગર રેન્જ વડાને ૮મી ઓકટો. સુધીમાં તપાસ રીપોર્ટ આપવા અદાલતનો આદેશ, આઈજી કચેરી કહે છે કે સત્તાવાર જાણ નથી

અમરેલી એસપી સામે પીએસઆઈને માર મારવાના આક્ષેપનો રાજ્યભરમાં ચર્ચાસ્પદ મામલો

રાજકોટ, તા. ૧૩ :. વિવાદ જેઓનો પીછો છોડતો નથી તેવા અમરેલીના કડક હાથે કામ લેવા માટે ટેવાયેલા એસ.પી. નિર્લિપ્ત રાય સામે અમરેલીના તત્કાલીન પીએસઆઈ એન.જે. ગોસાઈ દ્વારા કોર્ટમાં થયેલી ફરીયાદ સંદર્ભે ભાવનગરના તટસ્થ એ વા આઈજીપી નરસિમ્હા કોમાર પાસે આ સંદર્ભે થયેલ કાર્યવાહીનો રીપોર્ટ ૮મી ઓકટોબર સુધીમાં રજુ કરવા કોર્ટ દ્વારા આદેશ થયાનું ફરીયાદીના એડવોકેટના સૂત્રો જણાવે છે.

અત્રે એ યાદ રહે કે, ઉકત ઘટના બાદ પ્રથમ હોસ્પીટલમાં દાખલ થયા બાદ પીએસઆઈ એન.જે. ગોસાઈએ પોતાને કસ્ટડીમાં એસપી અને અન્યોએ માર માર્યાની ફરીયાદ કરી હતી.

પીએસઆઈ ગોસાઈ ત્યાર બાદ જાહેર રજાના દિવસે આઈજી પાસે અમરેલી એસ.પી.ની ફરીયાદ કરતા ભાવનગર રેન્જ આઈજીએ તટસ્થતાપૂર્વક તમામ આક્ષેપોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે અમરેલીના ડીવાયએસપી શ્રી મોણપરાને તપાસ સુપ્રત કરી હતી અને સંબંધક પીએસઆઈને અમરેલીથી તપાસના હિતમાં ભાવનગર બદલી નાંખેલ.

અત્રે એ યાદ રહે કે એક માથાભારે શખ્સ કે જેણે વેપારીઓ સાથે લુખ્ખાગીરી આચરેલ તેવા શખ્સને રિમાન્ડ પર મેળવવા સંબંધક પીએસઆઈને એસપીએ આદેશ કરેલ. આમ છતા આ શખ્સ જામીન પર છૂટી જતા અન્ય કારણો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા સૂચવેલ. અદાલતે જ્યારે તેમને પૂછયુ કે, તમારે ખરેખર રિમાન્ડની જરૂર છે કે, કોઈના કહેવાથી આ માંગ કરી છે ? ત્યારે પીએસઆઈ એ એસપીનું નામ આપેલ. આમ આ કેસમાં રિમાન્ડ મળેલ નહિં.

સંબંધકર્તા પીએસઆઈ દ્વારા પોતાના વિડીયો બહાર પાડી હોસ્પીટલે દાખલ થઈ એસ.પી. વિ. સામે માર મારવાના આરોપ કરેલ. જ્યારે એસ.પી. નિર્લિપ્ત રાય એવું કહે છે કે, આ આક્ષેપો તદ્દન ખોટા અને પાયા વગરના છે. તેઓને આ બાબતે સ્પષ્ટતા કરવા માટે જ બોલાવ્યા હતા.  દરમ્યાન રેન્જ વડાની ઓફિસના સૂત્રોના કથન મુજબ હજુ સુધી અદાલત તરફથી સત્તાવાર રીતે કોઈ અમારી કચેરીને જાણ થઈ નથી. આ બાબતે સત્તાવાર હુકમ મળ્યે ખરેખર શું વિગતો માંગી છે ? તેનો ખ્યાલ આવે અને અદાલતનો આદેશ મળ્યે સૂચનાનું પાલન કરવામાં આવશે. અત્રે એ યાદ રહે કે, અમરેલી એસપી સામેના ચોક્કસ આક્ષેપ બાબતની તપાસ ભાવનગર રેન્જ વડા નરસિમ્હા કોમાર ચલાવી રહ્યાનું સૂત્રો જણાવેલ.(૨.૧૨)

(4:16 pm IST)