Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેષ દવેને શનિવારે 'પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ'થી સન્માનાશે

રાજકોટ, તા. ૧૩ : પ્રકૃતિ - પ્રેમી - સંસ્કૃતિ સર્જક મહારાજા શ્રી ભગવતસિંહજીના ગુણવંતા ગોંડલના વતની, ત્રણ - ત્રણ દશકથી વધુ સમયથી રાજકોટ જિલ્લામાં પ્રકૃતિ સંરક્ષણ, પયાવરણ જાળવણી, વન્ય જીવન બચાવ જાગૃતિ, પ્રદૂષણ નિવારણ, મહિલા અને બાળ આરોગ્ય અને શિક્ષણ સેવા પ્રવૃતિ, સર્પ સંરક્ષણ, રકતદાન જાગૃતિ, ચક્ષુદાન સેવા, દેહદાન સેવા, સાયકલીંગ હેલ્થ કલબ, પ્રકૃતિ શિક્ષણ શિબિરો - પ્રવાસો, પેરેન્ટીંગ ફોર પીસ પ્રવૃતિ, બર્ડ વોચીંગ, આકાશ દર્શન, ૧૦૦થી વધુ માધ્યમિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ - પર્યાવરણના જાગૃતિના સેમીનાર જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાહિત્ય સેમીનાર, પુસ્તક મેળાના આયોજન જેવી સમાજ ઉપયોગી પ્રવૃતિઓ છેલ્લા ૩૨-૩૩ વર્ષથી અવિરતપણે ચલાવી રહેલ ગોંડલના પનોતા પુત્ર હિતેષ દવેની અવિરત સેવા પ્રવૃતિઓને ધ્યાને લઈ દિલ્હી સ્થિતિ રાષ્ટ્ર સૃજન અભિયાન - સંસ્થા પોરબંદર શાખા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદર ખાતે આગામી શનિવારે તા.૧૫ના રોજ ''પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-૨૦૧૮''થી આંતર રાષ્ટ્રીય પ્રમુખ શ્રી, રાજયકક્ષાના મંત્રી શ્રી, જિલ્લા કલેકટર શ્રી, જિલ્લા અધિકારીશ્રીઓના હસ્તે સન્માનિત કરવામાં આવશે.

ગુજરાતના પ્રકૃતિ, પર્યાવરણ, વન્યજીવન સંરક્ષણ, સંવર્ધન, પ્રશિક્ષણ અને જાગૃતિ ક્ષેત્રે રાજયભરમાં તેમની અને સેવાથી પ્રકૃતિ - પર્યાવરણ ક્ષેત્રે વિશાળ ચાહક વર્ગ અને શુભેચ્છકો ધરાવતા હિતેશભાઈ દવેને અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓએ તેમની નિઃસ્વાર્થ સેવાઓ બદલ રાજયકક્ષાના જિલ્લાકક્ષાના, પ્રાદેશીક ક્ષેત્રના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. સાલસ સ્વભાવ - અજાતશત્રુ અને સદાય માનવ પશુ - પક્ષી - જીવા માત્રની સેવા કરવા તૈયાર અને ઉપયોગી થનાર આ સર્પ મિત્રને પ્રકૃતિ પ્રેમીને પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા ગોંડલ નગરજનો અને તમામ પ્રકૃતિ પ્રેમીઓમાં હર્ષની લાગણી છવાયેલ છે.

હિતેષભાઈ દવેનો જન્મ જૂનાગઢમાં થયો. તેમનું જીવન ગોંડલમાં વિતેલુ છે. પ્રાથમિક, માધ્યમિક, કોલેજનું શિક્ષણ ગોંડલમાં લીધેલું છે. છેલ્લા ૩૩ વર્ષથી અવિરત પ્રકૃતિ, માનવી, પક્ષી, પ્રાણીની સેવામાં પ્રવૃત આ વ્યકિત મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ અને મહારાજા ભગવતસિંહ ગોંડલ સ્ટેટના કાર્યો અને વિચારોથી પ્રેરણા મેળવી છે. યોગીના થઈ શકીએ તો ઉપયોગી તો થઈ શકીએ અને માણા (માણસ) અને પાણા (પર્વતો)ની સેવા એ જ જેનો જીવન સંકલ્પ છે અને માનવ સેવા કરતા કરતાં મૃત્યુ થાય તેવી અભિલાષા હૈયે રાખે છે તેવા પ્રકૃતિ પ્રેમી - સમાજ સેવાના ભેખધારી હિતેષભાઈ દવેને રાષ્ટ્ર સૃજન અભિયાનના સ્વપ્નદૃષ્ટા સ્વતંત્રતા આંદોલનના અગ્રણી નેતા શ્રી બાબુરામ વિલાસસિંહજીની ૨૪મી પૂણ્યતિથિ ઉજવણી અવસરે પોરબંદર સુદામાપુરી ખાતે સન્માનવામાં આવશે.

''પ્રાઉડ ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-૨૦૧૮'' આ એવોર્ડ હિતેષભાઈ દવે તેમના સ્વ.માતા-પિતા અને પરિવારને સમર્પિત કરેલ છે. માતા-પિતાના સંસ્કાર અને પરિવારજનોના સહયોગથી જ આજે આ ગૌરવ એવોર્ડને લાયક થવા પામેલ છે. (હિતેષ દવે - ગોંડલ, મો.૯૮૨૫૫ ૧૬૪૯૯)(૩૭.૫)

 

(11:48 am IST)