Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કુમકુમ તિલક કી કરો તૈયારી... આ રહી હે ગણેશજી કી સવારી...

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે-ગામ ગણેશ મહોત્સવનો પ્રારંભ : સંસ્થાઓ ગ્રુપ અને પરિવાર દ્વારા ગણેશજીની સ્થાપના

રાજકોટ તા.૧૩ : આજે ગણેશ ચતુર્થીના દિવસથી રાજકોટ  સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ગણપતિજીની આરાધના માટે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે.

આજે ગણેશજીનું અનેક જગ્યાએ સવારે સ્થાપન કરવામાં આવ્યુ છે તો અનેક જગ્યાએ સાંજે ગણેશજીની મુર્તિઓનું સ્થાપન કરવામાં આવશે.

જયાં ત્રણ દિવસ, પાંચ દિવસ ૧૧ દિવસ સુધી ગણેશજીની આરાધના કરવામાં આવશે.

ગણેશ મહોત્સવનું રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં અનેક સંસ્થાઓ, ગ્રુપો દ્વારા જાહેર સ્થળોએ તથા જૂદા જૂદા પરિવાર દ્વારા પોતાના ઘરે ગણેશજીની મુર્તિનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે.

ગોંડલ - ઓટોસ ગ્રુપ

ગોંડલ : ઓટોસ ગ્રુપ દ્વારા આયોજીત ભકિતના રંગ ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાના તરંગ સમા શ્રી ગણેશ ઉત્સવના તા. ૧૩ થી તા.૩૦ સુધીના દસ દિવસીય આયોજનમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ગણેશ સ્થાપન શોભાયાત્રા આજે સવારે ૯-૩૦ કલાકે રઘુવીરસિંહ (રઘુભા) મુળુભા રાયજાદાના નિવાસ સ્થાનેથી નીકળી સ્થાપના સ્થળે પહોચી હતી. તા.૨૩ના ગણેશ યજ્ઞ બાદ ૩ કલાકે વોરા કોટડા રોડ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે. આ સાથે શ્રીનાથજી સત્સંગ, આરતી સ્પર્ધા, બાળ વેશભૂષા સ્પર્ધા, બટુક ભોજન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ગોંડલ - શિવ ગ્રુપ

ગોંડલ : શિવ ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ ઉત્સવમાં દસ દિવસ ચાલનાર આ ધાર્મિક ઉત્સવમાં આજે સવારે ૯ કલાકે ગણેશ સ્થાપના તેમજ શોભાયાત્રા મનસુખભાઇ વિરાણીના કૈલાશ ખાતેના નિવાસસ્થાનેથી નીકળી પંડાલ સ્થળે પહોચી હતી. બાદમાં ગણેશજી અન્નકુટ, બટુક ભોજન, સત્યનારાયણ કથા, મહાઆરતી તેમજ તા. ૨૩ના બપોરે દોઢ કલાકે વોરાકોટડા રોડ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે. દરરોજ બપોરે ૧૨ કલાકે થાળ ધરવામાં આવનાર છે. મોરબી

મોરબીઃ વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ પૂજનનો પાવન પર્વ એવા ગણેશ ચતુર્થીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં ભકિતભાવ અને ઉત્સાહ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

 મોરબી શહેરમાં દર વર્ષની જેમ સિદ્ઘિ વિનાયક કા રાજા, કાયાજી પ્લોટ ના રાજા, પટેલ ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવ, સહિતના મોટા પંડાલોમાં વિશાલ આયોજન ઉપરાંત શેરીએ અને ગલીએ ગણપતિ પંડાલ સજાવવામાં આવ્યા છે અને સતત નવ દિવસ સુધી ગણપતિનુ પૂજન, આરતી ઉપરાંત વિવિધ સ્થળે સંસ્કૃતિક કાર્યક્રમ, પ્રસાદ અને રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે તો અંતિમ દિવસે વાજતે ગાજતે ગણપતિનું વિસર્જન કરવામાં આવશે શહેરના અનેક વિસ્તારોમાં ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી માટે ભકતો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે..

ગોંડલ

ગોંડલઃ કૈલાસ બાગ સોસાયટી અવધ ગ્રુપ મિત્ર મંડળ ગણેશ ઉત્સવનું સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જેમાં આજે આગમન સાથે ૧૫૧ લાડુનો ભોગ, બ્રહ્માકુમારી ઇશ્વરીયા વિદ્યાલય પ્રવચન, દાંડિયા રાસ, દીપમાળા, મહા આરતી કુમાર મંગલ દ્વારા મનોરંજન, સુંદરકાંડના પાઠ, મહિલા ધૂન મંડળ, અન્નકૂટ, સત્યનારાયણ ભગવાનની કથા, તેમજ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવેલ છે. ગણેશ વિસર્જન તા. ૨૩ બપોરે ૨:૦૦ કલાકે કરવામાં આવનાર છે.

(11:33 am IST)